જામનગરના ધુંવાવ નજીક નવા પુલમાં એટલી હદે મોટા ગાબડા પડયા છે કે આ ગાબડામાં આખો હાથ અંદર ચાલ્યો જાય છે. જામનગરથી રાજકોટ આવાગમન માટેના મુખ્ય માર્ગના પુલની દુર્દશાથી વાહનચાલકો પર અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. નવાઇની વાત તો એ છે કે, આ માર્ગ પરથી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ પસાર થતા હોવા છતાં કોઇને આ સમસ્યા ન દેખાત અને સમારકામ કરવામાં ન આવતા અનેક સવાલ ઉઠ્યા છે.
જામનગરથી રાજકોટ જવાના મુખ્ય માર્ગ પર અગાઉ ધુંવાવ ગામમાંથી થઇને વાહનચાલકો આવાગમન કરતા હતાં. પરંતુ આ માર્ગ સાંકડો હોય અને ખખડધજ થતાં તંત્ર દ્રારા ધુંવાવ ગામ નજીક પુલ બનાવામાં આવ્યો છે. હાલમાં જામનગરથી રાજકોટ જવા માટે વાહનચાલકો આ પુલ પરથી આવાગમન કરી રહ્યા છે. આ પુલ બનાવવા માટે મસમોટો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ આ પુલમાં છેલ્લાં થોડા સમયથી મસમોટા ગાબડા પડયા છે. નવાઇની વાત તો એ છે કે, પુલ પરના ગાબડાનું સમારકામ કરવામાં ન આવતા ગાબડા મોટા ખાડામાં ફેરવાયા છે. પુલ પરના માર્ગ પરના આ ખાડા એટલા મોટા થયા છે કે તેમાં આખો હાથ ચાલ્યો જાય છે.

જામનગરથી રાજકોટ જવાના મુખ્ય માર્ગના પુલ પર મસમોટા ગાબડાથી આવાગમન કરતા વાહનચાલકો પર અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. રાજયમાં પુલના કારણે જીવલેણ અકસ્માતોના કારણે અનેક લોકોએ મહામૂલી જીંદગી ગુમાવી છે. ત્યારે જામનગરના મુખ્ય અને મહત્વના ધુંવાવ નજીકના આ મુખ્ય પુલ પર ગાબડાના કારણે કોઇ ગંભીર અકસ્માત થાય તે પહેલા ખાડાનું યુઘ્ધના ધોરણે રીપેરીંગ કામ કરવું જરૂરી બન્યું છે.
નવાઇની વાત તો એ છે કે, જામનગરથી રાજકોટ જવા માટે આ મુખ્ય માર્ગ હોય તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ છાશવારે ગાંધીનગર મીટીંગ સહીત અન્ય સરકારી કામ માટે આ માર્ગ પરથી આવગમન કરતા હોય છે. આમ છતાં, કોઇ અધિકારીઓ અને પદાધિકારીઓને પુલ પર પડેલા ગાબડા દેખાયા નહીં કે પછી ઇરાદાપૂર્વક આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તે સવાલ પણ વાહનચાલકોમાં જોરશોરથી ઉઠ્યો છે. આટલું જ નહીં પુલ પરના ગાબડાના કારણે કોઇ જીવલેણ અકસ્માત કે દુધર્ટના થશે તો જવાબદારી કોની તે સળગતો સવાલ પણ વાહનચાલકો તંત્રવાહકોને પૂછી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application