દિવાળીના મીની વેકેશન બાદ આજથી હાપા માર્કેટીંગ યાર્ડ હરરાજી સહિતની કાર્યવાહી પ્રારંભ થઇ ગઇકાલે લાભપાંચમ હતી, પરંતુ રવિવાર હોવાથી આજથી યાર્ડનું કામ શરૂ થયું હતું, આ વર્ષે ચોમાસુ સારૂ હોવાના કારણે ખેડુતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
હાપા યાર્ડમાં નવી જણસોની આવક સાથે મુર્હુતના સોદા આજે પડયા હતાં, જિલ્લામાં આ વર્ષે ખરીફ પાકના કુલ વાવેતરના ૮૯.૭૫ ટકા વાવેતર મગફળી અને કપાસનું થયું છે જેથી ખુલ્લી બજાર અને ટેકાના ભાવે થનારી ખરીદી માટે ખેડુતો મોટી અપેક્ષા રાખી રહ્યા છે, ચાલું વર્ષે ખેડુતદીઠ ૩૦૦ મણ મગફળીની ખરીદી કરે સરકાર તેવી માંગણી વ્યાપક છે.
જામનગર જિલ્લાની ખેતીની વાત કરીએ તો તે પહેલા તાલુકાદીઠ ઓણ સાલ પડેલ વરસાદની વાત કરવી પડે. જિલ્લામાં આ વર્ષે કુલ સરેરાશ ૭૨૨.૫૦ મી.મી. એટલે કે ૨૮.૪૪ ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં જામનગર ગ્રામ્ય પંથકમાં ૨૫.૯૪ ઇંચ, જોડીયામાં ૪૦.૨૮, ધ્રોલમાં ૨૦.૫૫, કાલાવડમાં ૨૭.૭૫, લાલપુરમાં ૨૩.૧૧ અને જામજોધપુરમાં ૩૩.૭૦ ઇંચ વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં સારા વરસાદને કારણે એક-બેને બાદ કરતા તમામ ડેમોમાં ચોમાસાનો પાક ઉપરાંત શિયાળુ પાક પણ સારી રીતે લઇ શકાય તેવી ઇશ્ર્વરની મહેરબાની છે, જેના કારણે જિલ્લાનો ખેડુ નિશ્ર્ચિંત છે. ગત વર્ષે ટેકાના ભાવે મગફળી વેંચવા ૪૯ હજાર ખેડુતો આવ્યા હતાં જયારે આ વર્ષે ૧ લાખથી વધુ ખેડુતોની નોંધણી થઇ ચૂકી છે.
આજથી શરૂ થયેલ માર્કેટીંગ યાર્ડની કામગીરીની સાથોસાથ કાલાવડ, જામજોધપુર સહિતના યાર્ડોમાં પણ મુર્હુતના સોદા પડયા હતાં. ગત રાત્રીથી જિલ્લાના તમામ યાર્ડોમાં ખેડુતો પોતાની જણસો લઇને આવી પહોંચ્યા હતાં.