રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશનમાં માત્ર મકાનો જ નથી તૂટ્યા, પણ અનેક ગરીબ પરિવારોના જીવનભરના અરમાનો પણ ભસ્મીભૂત થયા છે. આ ઐતિહાસિક ડિમોલિશન દરમિયાન એક અત્યંત હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 23 વર્ષથી વિધવાનું જીવન જીવતા એક વૃદ્ધાનો 60 વર્ષ જૂનો આશરો પળવારમાં છીનવાઈ ગયો છે.
લોહીનું પાણી કરીને ઘર બનાવ્યું હતું
આજકાલ ડિજિટલની ટીમ સાથે વાત કરતા વૃદ્ધાએ રડતા રડતા પોતાની વ્યથા ઠાલવી હતી. તેમણે જણાવ્યું કે, અમે છેલ્લા 60 વર્ષથી અહીં જંગલેશ્વરમાં રહીએ છીએ. કાળી મજૂરી કરીને, પેટે પાટા બાંધીને અમે આ ઘર બનાવ્યું હતું. વિધવા અવસ્થામાં અનેક મુશ્કેલીઓ વેઠીને દીકરાને મોટો કર્યો છે.
તંત્ર સામે આજીજી: અમને ક્વાર્ટર આપો
જંગલેશ્વરમાં જ્યારે 64 જેસીબી અને બુલડોઝરોનો કાફલો મકાનો તોડવા પહોંચ્યો, ત્યારે આ વૃદ્ધા પોતાની નજર સામે જ પોતાનું ઘર તૂટતું જોઈ લાચાર બની ગયા હતા. તેમણે ડૂસકાં ભરતા કહ્યું કે, સરકારે આદેશ આપતા તેમણે સ્વેચ્છાએ ઘર તો ખાલી કરી દીધું, પણ હવે તેમની પાસે રહેવા માટે કોઈ છત નથી. અમારા જેવા ગરીબ લોકોને રહેવા માટે સરકારે ક્વાર્ટર આપવું જોઈએ," તેવી આજીજી સાથે તેમની આતરડી કકળી ઉઠી હતી. તંત્ર માટે આ ભલે ગેરકાયદે દબાણ હટાવવાની ઝુંબેશ હોય, પરંતુ આ વૃદ્ધા માટે તો તેમનું આખું જીવન કાટમાળમાં દટાઈ ગયું છે.