ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ઓબ્ઝર્વરશ્રીઓ દ્વારા ૧૨-જામનગર લોકસભા મતવિસ્તારની ચૂંટણીલક્ષી કામગીરી અંગે સર્વગ્રાહી સમીક્ષા કરાઈ

  • April 20, 2024 04:59 PM 

ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ઓબ્ઝર્વરશ્રીઓ દ્વારા ૧૨-જામનગર લોકસભા મતવિસ્તારની ચૂંટણીલક્ષી કામગીરી અંગે સર્વગ્રાહી સમીક્ષા કરાઈ

લોકસભા ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિ જળવાય તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે દિશામાં કામગીરી કરવા જામનગર અને દ્વારકા જિલ્લાના અધિકારીશ્રીઓને ઓબ્ઝર્વરશ્રીઓનું સૂચન

જામનગર તા.૨૦ એપ્રિલ, લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેની સમગ્ર કાર્યવાહી પર દેખરેખ રાખવા ૧૨ - જામનગર સંસદીય મતવિસ્તાર માટે ત્રણ ઑબ્ઝર્વરશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જનરલ ઑબ્ઝર્વર તરીકે હસમત અલી યાતો (IAS), પોલીસ ઑબ્ઝર્વર તરીકે ઉત્તપલ કુમાર નાસ્કર (IPS) અને ખર્ચ ઑબ્ઝર્વર તરીકે અવિજિત મિશ્રા (IRS) ની નિમણુક કરવામાં આવી છે.

આ ઓબ્ઝર્વરશ્રીઓ દ્વારા જામનગર જિલ્લા સેવા સદન ખાતેના સભાખંડમા ચૂંટણી લક્ષી કામગીરી અંગેની સર્વગ્રાહી સમીક્ષા બેઠકનું આયોજન કરી જિલ્લામાં થયેલ ચૂંટણી સંબંધિત સમગ્ર કામગીરીની નોડલ અધિકારીશ્રીઓ પાસેથી ઝીણવટભરી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

ઓબ્ઝર્વરશ્રીઓ દ્વારા પોલિંગ સ્ટેશનની વિગતો, જિલ્લાના મતદારો, જિલ્લામાં કાર્યરત ચેક પોસ્ટ, ઇ.વી.એમ, વિવીપેટની ફાળવણી, ઇવીએમ સ્ટોરેજની વ્યવસ્થા, ઇવીએમ રૂટ તથા ઇવીએમ સંબંધીત સુરક્ષા વ્યવસ્થા, મતદાન મથકો ખાતે પોલીસ સ્ટાફની ફાળવણી, ચૂંટણી સ્ટાફની તાલીમ, ચૂંટણી અંગે વાહનોની ફાળવણી, સ્ટ્રોંગ રૂમ વ્યવસ્થા, મતદાન જાગૃતિ કાર્યક્રમો, ઓનલાઈન ફરિયાદો અને તેના નિવારણ તથા કાયદો વ્યવસ્થા સહિતની બાબતોની સમીક્ષા કરી જરુરી સૂચનો કર્યા હતા.

બેઠકમાં જનરલ ઓબ્ઝર્વરશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, સરળ તથા ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે જામનગર અને દ્વારકા બન્ને જિલ્લામાં કાયદો વ્યવસ્થા સુદ્રઢ હોવી જરૂરી છે. તેમજ લોકો અને ખાસ કરીને યુવાઓ વધુમાં વધુ મતદાન કેરે તે પ્રકારે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજી વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.

બેઠકમાં જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બી.કે.પંડયા, દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યા, જામનગર અને દ્વારકા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓ શ્રી વિકલ્પ ભારદ્વાજ અને શ્રી એસ.ડી.ધાનાણી, જામનગર અને દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ અને શ્રી નીતિશ પાંડેય, જામનગર અને દ્વારકા જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર શ્રી બી.એન.ખેર અને શ્રી ભૂપેશ જેટાણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ઝીલ પટેલ, દ્વારકા જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારીશ્રી જે.ડી.પટેલ  ,એ.આર.ઓ, વિવિધ સમિતિના નોડલ અધિકારીશ્રીઓ, આસિસ્ટન્ટ નોડલ અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application