જામનગરમાં વિદ્યાર્થીને માર મારવાના પ્રકરણમાં પ્રિન્સિપાલ સામે ફરિયાદ
શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે નિવેદનો લેવા સહિતની કાર્યવાહી
જામનગર શહેરની શાળા નં. ૧૯ના પ્રિન્સિપાલ સામે વિદ્યાર્થીને માર મારવા, તેના પિતાને ધક્કો મારી જાતિ અંગે અપમાનજનક શબ્દો બોલી ધમકી આપ્યાની ફરિયાદના આધારે સીટી "સી" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી બાજુ શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરીને નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે કડિયાકામ કરતા પ્રવિણભાઈ અરજણભાઈ પાંડાવદરાના પુત્ર શાળા નં. ૧૯માં અભ્યાસ કરે છે. તા. ૨૯/૦૬/૨૦૨૬ના રોજ વિદ્યાર્થીએ વર્ગ દરમિયાન વોશરૂમ જવાની પરવાનગી માંગતા શાળાના પ્રિન્સિપાલ રામભાઈ ગુસ્સે થઈ ગયા હતા અને વિદ્યાર્થીને ડાબા કાનના ભાગે બે ઝાપટ મારી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બાદમાં પ્રવિણભાઈ પાંડાવદરા આ બાબતે પ્રિન્સિપાલને પૂછપરછ કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન પ્રિન્સિપાલે તેમને ધક્કો મારી ગાળો બોલી ઝઘડો કર્યો હતો તેમજ તેમની જાતિ અંગે અપમાનજનક શબ્દો ઉચ્ચારી, "તારે જે કરવું હોય તે કરી લે, હું કોઈથી બીતો નથી" કહી ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ફરિયાદના આધારે સીટી "સી" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૩૫૧(૨), ૩૫૨ એટ્રોસીટી એકટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી દ્વારા હાથ ધરી છે