જામનગરમાં કાલાવડ નાકા બહારનો પૂલ અતિ જર્જરીત બની ગયો હોવાથી મહાનગરપાલિકા દ્વારા આ સ્થળે ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત તેના ઉપર ભારે વાહનો પસાર થઈ ન શકે તે માટે લોખંડના ગર્ડરની આડશ મુકવામાં આવી છે. તેમ છતાં સોમવારે બપોરે બે વાગ્યે કોઈ આઈશર મીની ટ્રકનો ચાલક ત્યાંથી પસાર થતાં ઉપરના ભાગે લોખંડનું ગડર આઈશરની બોડી સાથે ટકરાઈ ગયું હતું અને એક તરફથી ઉખડીને લટકી રહ્યું હતું. આ દુર્ઘટના સર્જાય તે પહેલા જ નંબર વન સાંઘ્યદૈનિક આજકાલ દ્વારા તાબડતોબ ગ્રુપમાં બેકીંગ નાખવામાં આવ્યું હતું અને આ બ્રેકીંગની અસર જોરદાર થઇ હતી અને થોડી મીનીટોમાં કોર્પોરેશનના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે, કાલાવડ નાકા બહાર લોખંડનું ગડર લટકી પડયું હતું, આ અંગે કેટલાક લોકોએ કોર્પોરેશનને પણ જાણ કરી હતી, પરંતુ તાત્કાલીક કોઇ કામગીરી કરવામાં આવી ન હતી, આખરે આજકાલે બ્રેકીંગ ન્યુઝ કરીને આ અંગે અધિકારીઓનું પણ ઘ્યાન દોર્યુ હતું જેનો જોરદાર પડઘો પડયો હતો અને ગણતરીની મીનીટોમાં જ કોર્પોરેશનના અધિકારીઓની ટીમ કાલાવડ નાકે દોડી ગઇ હતી અને નમી પડેલા ગડરને સરખું કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી, આમ લોકોની વચ્ચે હંમેશા આજકાલ ઉભુ રહ્યું છે અને લોકપ્રશ્ર્નો ઉકેલવામાં આજકાલની ભૂમિકા અગ્રેસર રહી છે.
આ જોખમી અવસ્થા અંગેનું ધ્યાન પડતાં જામનગરના વોર્ડ નંબર૧૨ના વિરોધ પક્ષના કોર્પોરેટર જેનબબેન ખફી સહિતના સ્થાનિક અગ્રણીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં અને મહાનગરપાલિકાના તંત્રને જાણ કરી હતી. જો કે ત્રણેક કલાક સુધી કોઈ તંત્ર પહોંચ્યું ન હોવાથી કોર્પોરેટર દ્વારા આ સંબંધેના ફોટો વિડીયો વગેરે સોસીયલ મીડિયામાં અપલોડ કર્યો હતો અને સર્વેને જાણ કરી હતી.
ત્યારબાદ ૫ વાગ્યા આસપાસ મહાનગરપાલિકાનું તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને ક્રેઈન વગેરેની મદદથી લોખંડના ગર્ડરને ફરીથી યથાસ્થાને મુક્યું હતું અને તેમાં નવા નટ બોલ્ટ ફિટ કરીને ફરીથી ફાઉન્ડેશન કરી દેવાયું હતું, જેથી સર્વેએ હાથકારો અનુભવ્યો હતો. સદભાગ્ય આ ત્રણેક કલાકના સમયગાળા દરમિયાન કોઈ જાનહાની કે અન્ય દુર્ઘટના સર્જાઈ ન હોવાથી હાશકારો થયો હતો.