સલાયામાં બેંક ઓફ બરોડાની નબળી કામગીરીને લઇને નગરજનોમાં નારાજગી
કેસ રૂપિયા પુરતા પ્રમાણમાં ન હોવા તથા મેનેજર દ્વારા અયોગ્ય વર્તન જેવા અનેક પ્રશ્ર્નોને ઘ્યાને રાખી ચાલુ ખાતા ધારકોએ રિજિયોનલ ઓફિસ સુધી કરી ફરિયાદ
સલાયામાં આવેલ બેંક ઓફ બરોડામાં કામગીરી બાબતે અનેક ફરિયાદો ઉઠી છે. જેમાં વ્યવસ્થાનો અભાવ, કેસ રૂપિયા પૂરતા પ્રમાણમાં ન હોવા તેમજ મેનેજર દ્વારા અયોગ્ય વર્તન જેવા અનેક પ્રશ્નો ઉદભવ્યા છે.
જે બાબતે સલાયાના લોકોએ અનેક વાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્નોનું નિરાકરણ થયું નથી. છેલ્લા એક અઠવાડિયાંથી કેસ રૂપિયાના અભાવનો પ્રશ્ન વારંવાર ઉભો થયો છે. ચાલુ એકાઉન્ટ ધારકો પોતાના પૈસા ઉપાડવા બેંકમાં જાય છે ત્યારે બેંક દ્વારા પૈસા નથી એવું કહેવામાં આવે છે. જો બેંકમાંથી પણ સમયસર પૈસા ન મળે તો લોકો કોની પાસે આશા રાખે?
તે ઘ્યાને રાખી કરંટ એકાઉન્ટ ધારકો બેંકમાં અગાઉથી જાણ કરે છે કે મારા એકાઉન્ટમાંથી અમારે આટલી કેસ રકમ ઉપાડવાની છે છતાં તે દિવસે અથવા બીજે દિવસે પણ આ કેસ રકમ મળતી નથી! જેથી મેનેજરને રજૂઆત કરવામાં આવે તો તેમના દ્વારા ઉદ્ધતાઈ ભરેલું વર્તન ગ્રાહકો સામે કરવામાં આવે છે એવી ફરિયાદ રિજિયોનલ ઓફિસમાં કરવામાં આવી છે.
રાષ્ટ્રીયકૃત બેંકમાં જો પોતાના પૈસા સમયસર ગ્રાહકને મળે નહીં તો આજના ડિજિટલ યુગમાં એ બહુ મોટો પ્રશ્ન ગણાય, જેથી ખાતા ધારકોએ રિજિયોનલ ઓફિસમાં ઈમેલ દ્વારા ફરિયાદ કરી છે. આ બાબતે બેંક મેનેજરે તો ખાતા બંધ કરી નાખો એવા ઉદ્ધતાઈ ભરેલા જવાબ આપતા ગ્રાહકો વધારે મુશ્કેલીમાં મુકાયા છે. આ બાબતે બ્રાંચ દ્વારા યોગ્ય કેસ જાળવી રાખવા અથવા મુખ્ય બ્રાન્ચને જાણ કરી કેસ મંગાવી અને લોકોને પુરી પાડવા પગલાં ભરવા જોઈએ એવી માંગ ઉઠી છે.