CSKની જીતને કારણે પોઈન્ટ ટેબલમાં આ 2 ટીમોને થયું નુકસાન

  • May 05, 2024 11:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે પંજાબ કિંગ્સ ટીમને 28 રને હરાવ્યું છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કુરેને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા CSKએ પંજાબ કિંગ્સને 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં પંજાબની ટીમ માત્ર 139 રન બનાવી શકી હતી. આ મેચમાં ચેન્નાઈ માટે રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. અગાઉ ચેન્નાઈની ટીમ પાંચમા સ્થાને હતી. ટીમે 11માંથી 6 મેચ જીતી છે. પાંચ મેચમાં હાર થઈ છે. ટીમના 12 પોઈન્ટ છે. જ્યારે CSKની હારને કારણે લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમોએ એક-એક સ્થાન ગુમાવ્યું છે. લખનૌની ટીમ ચોથા સ્થાને અને હૈદરાબાદની ટીમ પાંચમા સ્થાને પહોંચી છે. હાર બાદ પણ પંજાબ કિંગ્સ ટીમ 8મા નંબર પર છે. ટીમ 11માંથી માત્ર ચાર મેચ જીતી શકી છે. ટીમના 8 પોઈન્ટ છે.


પંજાબ કિંગ્સનો ઓપનર જોની બેરસ્ટો મોટી ઇનિંગ રમી શક્યો ન હતો અને 7 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રિલે રુસો પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. પ્રભસિમરન સિંહ અને શશાંક સિંહે થોડો સમય વિકેટ પર ટકી રહેવાનો પ્રયાસ કર્યો હતો. પ્રભાસિમરને 30 અને શશાંકે 27 રન બનાવ્યા હતા. આ બંનેના આઉટ થયા બાદ પંજાબ કિંગ્સની બેટિંગ વિખેરાઈ ગઈ હતી. ટીમ માટે કોઈ પણ બેટ્સમેન સારી ઇનિંગ રમી શક્યો ન હતો અને 20 ઓવરમાં ટીમ 9 વિકેટના નુકસાન પર 139 રન જ બનાવી શકી હતી. કેપ્ટન સેમ કુરેને 7 રન, જીતેશ શર્માએ શૂન્ય રન અને આશુતોષ શર્માએ ત્રણ રન બનાવ્યા હતા.


ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. તુષાર દેશપાંડે અને સિમરનજીત સિંહે બે-બે વિકેટ લીધી હતી. મિશેલ સેન્ટનર અને શાર્દુલ ઠાકુરે એક-એક વિકેટ લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application