જામનગરમાં નવા બાંધકામના સ્થળેથી ૨૦.૭૩ લાખની વીજચોરી ઝડપાઈ
બિનઅધીકૃત રીતે જોડાણ મેળવતા બિલ્ડર સામે ફરીયાદ
જામનગર શહેરના રણજીતસાગર રોડ વિસ્તારમાં આવેલી બાંધકામ સાઇટ પર પીજીવીસીએલની ટીમે દરોડા દરમિયાન મોટી વીજચોરી ઝડપી પાડી છે. આ મામલે એક બિલ્ડર સામે વીજચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, પીજીવીસીએલના નાયબ ઇજનેર મયુર રસીકલાલ કાલરીયાએ નોંધાવેલી ફરિયાદના આધારે વ્રજ વિહાર સોસાયટી પાછળ, કુબેર પાર્ક, શ્લોક હાર્મોની તથા પટેલ બિલ્ડકોનના બાંધકામ સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પર પીજીવીસીએલનું કોઈ કાયદેસર વીજ જોડાણ ન હોવા છતાં નજીકના ટ્રાન્સફોર્મરના સ્ટડ સાથે બિનઅધિકૃત રીતે જોડાણ કરી વીજ પુરવઠો મેળવી બાંધકામ કાર્યમાં ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.
તપાસમાં પાર્થ નંદલાલ સંઘાણી દ્વારા બિનઅધિકૃત રીતે વીજળીનો ઉપયોગ કરીને વાણિજ્ય હેતુસર ચાલી રહેલા બાંધકામ કાર્યમાં વીજચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલા આંકલન મુજબ કુલ રૂ. ૨૦,૭૩,૩૯૩.૮૭ ની વીજચોરી થઈ હોવાનું નોંધાયું છે. ઉપરાંત રૂ. ૨૦,૦૦૦નો કમ્પાઉન્ડિંગ ચાર્જ પણ ફટકારવામાં આવ્યો છે. આ બનાવ અંગે વિજ પોલીસ સ્ટેશનમાં વીજ અધિનિયમ-૨૦૦૩ની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અને વિજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.