રાજુલા, અમરેલી, લીલીયા, ચોટીલા, વીંછિયા, મોરબી, જસદણમાં 3.5થી 8 ઇંચ વરસાદ ખાબક્યો, નદીઓ ગાંડીતૂર, બકરા, ઘેટાં સહિતના પશુઓ તણાયા

  • June 17, 2025 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગત શનિવારથી શરૂ થયેલી મેઘસવારી ગઈકાલે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી વળી હોય તેમ કુલ 90 તાલુકામાંથી 84 તાલુકામાં અડધો ઇંચથી માંડીને 14 ઇંચ સુધીની મેઘરાજાની મહેર થઈ છે. જેમાં સૌથી વધુ બોટાદના ગઢડા ખાતે 14 ઇંચ ભાવનગરના પાલીતાણા સિહોર જેસર, ઉમરાળા પંથકમાં સાડા દસથી 12 ઇંચ, અમરેલીના સાવરકુંડલા, રાજુલા અમરેલી શહેર લીલીયા પંથકમાં સાત થી 10 ઇંચ વરસાદ વરસી જવા પામ્યો છે. આમ આ મેઘસવારી બોટાદ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જુનાગઢ સહિતના તમામ જિલ્લાઓમાં ફરી વળતા ખેડૂતો સહિત તમામ લોકોમાં આનંદ આનંદ પ્રસરી ગયો છે. જોકે ભારે પવન સાથે વ્યાપક વરસાદને કારણે ભાવનગર બોટાદ અમરેલી જિલ્લામાં નદીનાળાઓ છલકાવવાને કારણે પશુઓ તણાઈ જવાના અને ખેતરોમાં પાણી ભરાવાના બનાવો પણ બન્યા છે.


બોટાદ શહેર 11 ઇંચ

આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના વરસાદના આંકડા જોઈએ તો બોટાદ જિલ્લાના ગઢડામાં 14 ઇંચ બોટાદ શહેર 11 ઇંચ જ્યારે બરવાળા અને રાણપુરમાં પોણા બેથી અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો.


ભાવનગર શહેરમાં સાડા ત્રણ ઇંચ

ભાવનગર શહેરમાં સાડા ત્રણ ઇંચ પરંતુ જિલ્લાના પાલીતાણામાં 12 ઇંચ સિહોર જેસર ઉમરાળા મહુવા પંથકમાં 9 થી સાડા અગિયાર ઇંચ, વલભીપુર, તળાજા ગારીયાધાર પંથકમાં છ થી સાડા છ ઇંચ અને ઘોઘામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં સાવરકુંડલા રાજુલા અમરેલી શહેર લીલીયા પંથકમાં ધોધમાર 7 થી 10 ઇંચ વરસાદ પડી જવા પામ્યો છે જ્યારે ખાંભા લાઠી કુંકાવાવ-વડિયા પંથકમાં ત્રણથી ચાર ઇંચ, બગસરા, જાફરાબાદ ધારી પંથકમાં પોણા બેથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા 6:30 ઇંચ તેમજ ચુડા સાયલા થાનગઢ પંથકમાં ચાર ઇંચ મૂળી, વઢવાણ, ધાંગધ્રા, લીંબડી, લખતર પંથકમાં સંવાથી પોણા ચાર ઇંચ વરસાદ પડી જવા પામ્યો છે.


વીંછીયા પંથકમાં છ ઇંચ 

રાજકોટ જિલ્લામાં વીંછીયા પંથકમાં છ ઇંચ જસદણમાં ચારી અને જેતપુર લોધિકા ઉપલેટા ગોંડલ કોટડા સાંગાણી પંથકમાં બેથી સાડા ત્રણ ઇંચ વરસાદ પડી ગયો હતો. ધોરાજી જામકંડોરણા અને પડધરી પંથકમાં સવારથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.


મોરબી શહેરમાં પાંચ ઇંચ

મોરબી શહેરમાં પાંચ ઇંચ જ્યારે ટંકારા હળવદ પંથકમાં સાડા ત્રણથી ચાર ઇંચ વાંકાનેર અને માળિયા મીયાણા પંથકમાં બેથી સવા બે ઇંચ વરસાદ પડ્યો હતો્.


જુનાગઢ શહેર તાલુકામાં ચાર ઇંચ

જુનાગઢ શહેર તાલુકામાં ચાર ઇંચ જ્યારે જિલ્લાના ભેસાણ વંથલી મેંદરડા અને વિસાવદર પંથકમાં બે થી અઢી ઇંચ જ્યારે કેશોદ માળીયાહાટીના માણાવદર માંગરોળ પંથકમાં અડધોથી સવા ઈચ વરસાદ પડી જવા પામ્યો છે.


દ્વારકા પંથકમાં બે ઇંચ 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુરમાં અઢી દ્વારકા પંથકમાં બે ઇંચ ભાણવડ અને ખંભાળિયા પંથકમાં સવાથી પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ઉના, સુત્રાપાડા તાલાલા પંથકમાં બે ઇંચ જ્યારે કોડીનાર ગીર ગઢડા અને વેરાવળ પાટણ પંથકમાં એક થી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. પોરબંદર શહેરમાં સવા બે ઇંચ જ્યારે કુતિયાણા અને રાણાવાવ પંથકમાં અડધોથી પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. જામનગર જિલ્લામાં જોડીયા બે ઇંચ જ્યારે ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, વલભીપુર પંથકમાં એક થી દોઢ ઇંચ અને જામનગર શહેરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.


કચ્છના માંડવીમાં સાડા ત્રણ ઇંચ મુન્દ્રા ગાંધીધામ પંથકમાં સંવાથી પોણા બે ઇંચ નખત્રાણા ભચાઉ અંજાર પંથકમાં અડધોથી પોણો ઈંચ વરસાદ પડી જવા પામ્યો હતો.


આજે સવારથી રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના 25 તાલુકામાં મેઘવર્ષા ચાલુ

સૌરાષ્ટ્ર કચ્છમાં 84 તાલુકામાં મેઘરાજાની મહેર વરસ્યા બાદ આજે સવારથી પણ 25 તાલુકામાં મેઘવર્ષા શરૂ થઈ ગઈ હતી, જેમાં રાજકોટ પંથકમાં પોણા બે ઇંચ જ્યારે લોધિકા ઉપલેટા જસદણ પથકમાં ઝાપટા, જુનાગઢ જિલ્લાના માળીયા માણાવદર કેશોદ માંગરોળ પંથકમાં ઝાપટા થી માંડીને પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના લાઠી લીલીયા બાબરા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, સાયલા, ધાંગધ્રા, લખતર, મુળી, લીંબડી, દેવભૂમિના દ્વારકા, કલ્યાણપુર પોરબંદર અને તાલાલા પંથકમાં પણ સવારથી જ વરસાદની પધરામણી શરૂ થઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application