BREAKING NEWS

જામનગર: ગ્રામજનોને સ્થાનિક કક્ષાએ જ મળશે આધુનિક આરોગ્ય સુવિધાઓ

  • October 15, 2025 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિકાસ સપ્તાહ ઉજવણી-જામનગર

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે મોખાણા ખાતે આયુષ્માન આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

​રૂ. 36.71 લાખના ખર્ચે નિર્મિત આ કેન્દ્ર થકી ગ્રામજનોને સ્થાનિક કક્ષાએ જ મળશે આધુનિક આરોગ્ય સુવિધાઓ

રાજ્યના કૃષિ, પશુપાલન,ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી  રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના મોખાણા ખાતે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂ. 36.71 લાખના ખર્ચે તૈયાર થયેલું આ કેન્દ્ર મોખાણા અને આસપાસના ગ્રામજનો માટે ઉત્તમ આરોગ્ય સુવિધાઓનું નવું કેન્દ્ર બનશે.

​આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ આયુષ્માન આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉભી થવાથી હવે મોખાણા સહિત આસપાસના ગ્રામજનોને સ્થાનિક કક્ષાએ જ શ્રેષ્ઠ આરોગ્ય સવલતો ઉપલબ્ધ થશે. ખાસ કરીને ગ્રામીણ માતાઓ અને બાળકોના સ્વાસ્થ્યને વિશેષ પ્રાધાન્ય આપતા, આ કેન્દ્ર પર પ્રસૂતા અને નવજાત શિશુની સારવાર, નિયમિત રસીકરણ, બાળ રોગ તથા કુપોષણ સંબંધિત સારવાર અને સુવિધા મળતી થશે.​મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આ કેન્દ્ર ખાતે અન્ય તમામ રોગો માટે સારવાર, સચોટ નિદાન અને જરૂરી માર્ગદર્શન પણ અપાશે. સાથે જ, કેન્દ્રના માધ્યમથી સરકારની આરોગ્ય વિષયક અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પણ સીધા જ ગ્રામજનો સુધી પહોંચતા થશે.

​આ પ્રસંગે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન  મુકુંદ સભાયા, અગ્રણી સર્વ ડો.વિનુભાઈ ભંડેરી, રામજીભાઈ પરમાર, રાહુલ પરમાર, ડો.ગુપ્તા સહિત સ્થાનિક પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application