જામનગરથી રાજકોટ એસટી ભાડામાં રૂ. ૩ થી ૧૬ નો ઘટાડો
રાજકોટ સાંઢીયા પુલનું લોકાર્પણ થતાં, ચાર કીલોમીટરનો ફેરો ઘટયો
રાજકોટના જામનગર રોડ પર આવેલો નવનિર્મિત સાઢીયા પુલનું કામ પૂર્ણ થતાં હાલાર અને મોરબી જતાં આવતા મુસાફરોને મોટી રાહત મળી છે સાથોસાથ રાજકોટ વાસીઓને પણ ૧૫૦ ફુટ રીંગ રોડ પર પસાર થતી એસટી બસોના ટ્રાફિકથી રાહત મળી છે.
સાંઢીયા પુલ શરૂ થવાથી રાજકોટથી જામનગર અને મોરબી જતી વિવિધ કેટેગરીની ૩૪૮ જેટલી બસોના ભાડામાં રૂપીયા ૩ થી ૧૬ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.સાથોસાથ ચાર કીલોમીટરના ડાયવર્ઝનથી મુક્તિ મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રૂ.૭૪.૩૨ કરોડના ખર્ચે બનેલા ત્યાં આ સાંઢિયા બ્રિજનું ખાતમુહૂર્ત ૭ મી માર્ચ, ૨૦૨૪ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયું હતું.
આ માર્ગે મે, ૨૦૨૪ થી તે બંધ કરાયો હતો. બ્રિજ બંધ થતાં બસ લાંબો રૂટ લેતી હોવાથી મુસાફરો પર ભાડાનો બોજ વધ્યો હતો. હવે ૨ વર્ષ બાદ બ્રિજ કમ્પલીટ થતાં ગત શનિવારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ તેથી અંદાજે ચાર કિલોમીટરનું અંતર ઘટતા રાજકોટ એસ.ટી. વિભાગે નવું ભાડું લાગુ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.
એસટી વિભાગ દ્વારા મોરબી અને જામનગર રૂટની તમામ કેટેગરીની બસના ભાડામાં રૂ.૩ થી લઈ રૂ.૧૬ સુધીના ઘટાડાની સત્તાવાર જાહેરાત કરાતા દૈનિક મુસાફરી કરતા નોકરિયાતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.
રાજકોટથી જામનગર આવતી બસનું નવું ભાડું:
લોકલ ૬૯
એક્સપ્રેસ ૧૧૭
ગુર્જરનગરી ૧૨૮
લકઝરી-સ્લીપર ૧૬૦
વોલ્વો ૨૫૧