જામનગર: ભરતપુર ગામમાં ઘેટાં-બકરાં ચરાવવાના મુદ્દે પ્રૌઢ પર હુમલો
ફરીયાદીના પૌત્રને ધમકી અપાઇ : બજરંગપુરના બે શખ્સ સામે ફરીયાદ
જામનગર તાલુકાના ભરતપુર ગામમાં ઘેટાં-બકરાં ચરાવવાના મુદ્દે થયેલા વિવાદમાં વૃદ્ધ પર હુમલો કરાયાની ફરિયાદ બજરંગપુરના બે શખ્સ સામે નોંધાઈ છે.
જામનગર તાલુકાના બજરંગપુર ગામના વતની પેથાભાઇ ભરવાડ અને થોભણ ભરવાડ નામના બે શખ્સો ફરીયાદી વૃદ્ધની વાડીમાં ઘેટાં-બકરાં ચરાવવા માટે આવ્યા હતા. વૃદ્ધે તેમને ના પાડતાં બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા, અને ગાળો આપી ઢીકા-પાટુનો માર માર્યો હતો.
એક આરોપીએ વૃદ્ધના પેટમાં લાત મારતા તેઓ જમીન પર પડી ગયા હતા. દરમિયાન વૃદ્ધના પૌત્ર સંજય તથા વિશાલ ત્યાં છોડાવવા માટે આવ્યા હતા જતાં જતાં આરોપીઓએ ફરીયાદીના પૌત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ અંગે ભરતપુર ગામમાં રહેતા રવજી કલાભાઇ સદાદીયા (ઉ.વ.૮૩) દ્વારા પંચ-એમાં પેથા અને થોભણ ભરવાડ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.