જામનગરના પ્રણામીનગર પાછળ યુવાનની હત્યા
નદી કાંઠેથી શંકાસ્પદ હાલતમાં લાશ સાંપડતા ખળભળાટ: ખુપેલું એકટીવા મળી આવ્યું: પોલીસ તપાસનો ધમધમાટ
જામનગરના રણજીતસાગર રોડ પ્રણામીનગર પાછળ નદી કાંઠે શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવતા ભારે દોડધામ મચી ગઇ હતી, પોલીસની પ્રાથમિક તપાસમાં બોથડ પદાર્થ વડે યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યુ હોવાનું અનુમાન લગાવીને ઘટના સ્થળેથી મળી આવેલા એકટીવા ગાડીના નંબર અને મૃતક પાસેથી મળી આવેલ કિચેઇનના આધારે સીટી-એ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે, બનાવના કારણે શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
જામનગર શહેરના રણજીતસાગર રોડ ૮૦ ફુટ રોડ વિસ્તાર પ્રણામીનગર પાછળના ભાગે આજે વહેલી સવારે એક યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ પડયો હોવાની વિગતો મળતા સીટી-એ ડીવીઝનના પીએસઆઇ રામાનુજ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને પ્રાથમિક વિગતો જાણી હતી યુવાનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો તેની બાજુમાં લોહીવાળો પથ્થર અને થોડે દુર નદી કાંઠે એકટીવા ખુપેલુ જોવા મળ્યુ હતું.
એકટીવા નં. જીજે૧૧બીએફ-૬૧૪૧ના નંબરના આધારે તપાસ આગળ ધપાવી હતી, મૃતકની ઓળખ મેળવવા આજુબાજુમાં પુછપરછ કરાઇ હતી અને મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. મળી આવેલુ સફેદ કલરનું એકટીવા જુનાગઢ પાસીંગનું હોવાનુ અને અહી કોના નામે નોંધાયેલ છે એ બાબતે પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
મૃતક યુવાન પાસેથી ચાવીનું કિચન પટ્ટીવાળુ મળી આવ્યુ છે જેમા નેપાળી લખ્યુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે જેના આધારે આ દીશામાં પણ ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે, હાલ પોલીસ દ્વારા હત્યાનું અનુમાન લગાવીને તપાસને વેગવંતી બનાવવામાં આવી છે, બનાવના કારણે શહેરમાં ચકચાર મચી જવા પામી છે.