રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના ત્રણ આરોપી મનપાના પૂર્વ ATP રાજેશ મકવાણા, પૂર્વ ATP ગૌતમ જોષી તેમજ ઇજનેર જયદીપ ચૌધરીના તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. હવે આ આરોપીઓના જામીન રદ થાય તે માટે રાજકોટ પોલીસ સુપ્રીમ કોર્ટમાં જશે તેવું જાણવા મળી રહ્યું છે. પોલીસને ગૃહ વિભાગની મંજૂરી મળતા સુપ્રીમના દરવાજા ખખડાવશે તેવું સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા જ પીડિત પરિવારોએ માંગ ઉઠાવી હતી કે ટીઆરપી અગ્નિકાંડમાં 3 આરોપીનાં જામીન હાઈકોર્ટે મંજૂર કરેલા છે ત્યારે સરકાર સુપ્રીમમાં નહીં જાય તો અમે જઈશું.
આરોપીઓ સામે ડે ટુ ડે કેસ ચલાવવા માંગ
મળતી વિગત મુજબ, તાજેતરમાં ટીઆરપી અગ્નિકાંડમાં હાઇકોર્ટ દ્વારા મનપાનાં પૂર્વ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર રાજેશ મકવાણા અને ગૌતમ જોશી ઉપરાંત આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીની જામીન અરજી મંજૂર કરાઈ હતી. અગ્નિકાંડનાં ત્રણ આરોપીને જામીન મળવા મુદ્દે પીડિત પરિવારોએ સુપ્રીમ જવાની તૈયારી દર્શાવી હતી. સરકાર સુપ્રીમમાં જઈ જામીન રદ કરે તેવી માંગ ઉઠાવી હતી. જો આમ નહીં થાય તો એક બાદ એક તમામને જામીન મળી જવાની દહેશત વ્યક્ત કરી આરોપીઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમજ સરકાર જો આ મામલે સુપ્રીમ કોર્ટમાં નહીં જાય તો ત્રણેય આરોપીઓનાં જામીન રદ કરવા પોતે સુપ્રીમનાં દ્વાર ખખડાવવા માટે તૈયારી દર્શાવી હતી. આરોપીઓ સામે ડે ટુ ડે કેસ ચાલે તેવી પણ માંગ પીડિત પરિવારો દ્વારા કરવામાં આવી હતી.
પીડિત પરિવારો સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર
2 દિવસ પહેલા પીડિત પરિવારનાં એડવોકેટે આ અંગે જણાવ્યું હતું કે, ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી રદ કરવામાં આવી હતી. પરંતુ હાઇકોર્ટ દ્વારા રાજકોટ મનપાના ત્રણ એન્જિનિયર એટીપીઓ રાજેશ મકવાણા, ગૌતમ જોષી, અને આસી. એન્જી. જયદીપ ચૌધરીની જામીન અરજી મંજુર કરવામાં આવી છે. જેને લઈને અગ્નિકાંડ પીડિત પરિવારોની લાગણી દુભાઈ છે. આ મામલે સરકાર હાઇકોર્ટનાં નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જઈને જામીન રદ કરાવે તેવી માંગ છે. હાઇકોર્ટમાં ત્રણેય આરોપીઓની મંજુર થયેલી જામીન અરજી રદ કરાવવા સરકાર સુપ્રીમમાં નહીં જાય તો પીડિત પરિવાર સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવશે.
શું છે સમગ્ર ઘટના?
સમગ્ર વિગત જોઈએ તો 25 મે 2024ની સાંજે રાજકોટના નાનામોવા રોડ નજીક આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જે અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે. જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠક્કર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર હીરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢા જૈન, રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનજીભાઇ સાગઠિયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકરભાઇ જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીતભાઇ આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જિનિયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો છે.
અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ કન્હેયાલાલ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે છે. દરમિયાન આ કેસમાં ચાર્જશીટ થયા બાદ જમીન માલિક અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, ફાયર ઓફિસર ઇલેશ ખેર, ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા, આસી. ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ મકવાણા, ગૌતમ જોષી, આસી. એન્જિનિયર જયદિપ ચૌધરીએ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી નામંજૂર થતાં ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી.
જેમાં એટીપી રાજેશ મકવાણા, ગૌતમ જોષી અને એન્જીનીયર જયદીપ ચૌધરીની જામીન અરજી હાઇકોર્ટે મંજૂર કરતો હુકમ કર્યો હતો. મૃતકોના પરિવારમાં આ જામીન અરજી રદ કરાવવા સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે તેવી આશા છે. જોકે પીડિત પરિવારના વકીલ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, હાઇકોર્ટના જામીનના હુકમ બાદ હજુ આ જામીન રદ કરાવવા સરકાર પક્ષે સુપ્રીમ કોર્ટમાં કોઈ અરજી કરાઈ હોય તેવું ધ્યાને આવ્યું નથી. જેથી પીડિત પરિવાર દ્વારા વિચારણા ચાલી રહી હતી કે, જો સરકાર પક્ષે ત્રણેય એન્જીનીયરની જામીન અરજી રદ કરવા સુપ્રીમ કોર્ટમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો પીડિત પરિવારો પોતાના વકીલ રાખી સુપ્રીમ કોર્ટ સુધી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech