દિલ્હી સ્થિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ખાતે યોજાયેલા કૃષિ સંવાદ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જામનગરના ગૌપાલકે સંવાદ કર્યો

  • October 14, 2025 04:47 PM 

આ સંવાદ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના મિયાત્રા ગામે સરિતા ગીર ગૌસંવર્ધન કેન્દ્રમાં ૨૫૦થી વધુ ગીર ગાયોનું જતન કરતા ધર્મેન્દ્રભાઈને આમંત્રણ મળ્યું હતું

વડાપ્રધાન સાથે સંવાદ કરીને એવું લાગ્યું કે, ઘરના વડીલ વ્યક્તિ મને માર્ગદર્શન આપી રહ્યા છે : ધર્મેન્દ્રભાઈ કારાવદરા

ભારત સરકારે મારા જેવા સામાન્ય ગૌપાલકને ૨ કરોડ રૂપિયાની સબસીડીની સહાય થકી ૨૫૦ ગીર ગાયોનો માલિક બનાવ્યો : ધર્મેન્દ્રભાઈ કારાવદરા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દિલ્હી સ્થિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ખાતે કૃષિ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતો તેમજ પશુપાલન અને માછીમારી જેવા વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં વિવિધ રાજ્યો માંથી લાભાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તે પૈકીના એક છે જામનગર જિલ્લાના મિયાત્રા ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ કારાવદરા કે જેઓએ વડાપ્રધાન સાથે સંવાદ કર્યો હતો. અને કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ તેઓ સાથે વિસ્તૃતમાં સરિતા ગીર ગૌસંવર્ધન કેન્દ્ર વિષે ચર્ચા કરી હતી. 


ધર્મેન્દ્રભાઈ જામનગર જિલ્લાના મિયાત્રા ગામે સરિતા ગીર ગૌસંવર્ધન કેન્દ્ર ચલાવે છે. જેમાં તેઓ ૨૫૦થી પણ વધુ ગીર ગાયોનું જતન કરે છે. હાલ તેઓએ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા આદિવાસી સમુદાયના મહિલાઓને વિનામૂલ્યે ૬૩ જેટલી વાછરડીઓ આપી છે. જેના થકી તેઓ પ્રાકૃતિક કૃષિ કરી સારી આવક મેળવી રહ્યા છે. 


તેઓ જણાવે છે કે, મને સરિતા ગીર ગૌસંવર્ધન કેન્દ્રમાં બ્રીડ મલ્ટિપ્લિકેશન ફાર્મ વિકસાવવા માટે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત ૫૦% સબસીડી હેઠળ રૂ.૨ કરોડની સહાય મળી છે. હાલ મારી પાસે ૨૫૦ કરતા વધુ ગાયો છે. અત્યારે હું દૂધ, દહીં, ધૂપ, દીવા, અગરબત્તી, ઘી અને ઓર્ગેનિક ખાતરનો વ્યવસાય કરું છું. આગામી સમયમાં હું આ બધી વસ્તુઓની એક્સપોર્ટ કરીને મારો વ્યવસાય આગળ વધારવાની વિચારણા હેઠળ છું. અગાઉ મને એવું લાગતું હતું કે, નાના ગૌપાલક તરીકે મને સરકારની આટલી મોટી યોજનાનો લાભ નહી મળે. પરંતુ સરકારની સરળ અરજી પ્રક્રિયાથી અને સરળ નીતિઓ અને બેંકના સપોર્ટથી મારો પ્રોજેક્ટ વિશાળ બન્યો છે. આગાઉ કોઈ સામાન્ય માણસ, ખેડૂત કે ગૌપાલકે વડાપ્રધાનને મળવું હોય તો ખુબ મુશ્કેલ કામ હતું. પરંતુ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકાર સારી કામગીરી કરતા લોકોને હંમેશા પ્રોત્સાહિત કરે છે.


હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યોએ મારા માટે ગર્વની વાત છે. તેઓએ ખુબ જ સરળ રીતે મારી સાથે વાત કરી. મને એવું લાગતું હતું કે આટલા શક્તિશાળી વ્યક્તિને હું કઈ રીતે મળીશ. પરંતુ તેઓને મળ્યા પછી અને સંવાદ કરતા સમયે એવું લાગ્યું કે જાણે ઘરના કોઈ વડીલ મને સલાહ અને માર્ગદર્શન આપી રહ્યા છે. હું તેઓને મળી ખુબ ખુશ અને આનંદની લાગણી વ્યક્ત કરું છું.  


તેઓએ આગળ જણાવ્યું કે, થોડા દિવસ અગાઉ હું મારી ગૌશાળામાં કામ કરી રહ્યો હતો અને મારા નંબર ઉપર પીએમઓ ઓફીસથી ફોન આવ્યો અને તેઓએ કહ્યું કે વડાપ્રધાન દ્વારા દિલ્હી ખાતે કૃષિ સંવાદનું આયોજન કરવામાં આવનાર છે. તેમાં તમને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હું આ નિમંત્રણનો સ્વીકાર કર્યા બાદ આપણા દેશના વડાપ્રધાન મારા જેવા નાના માણસ સાથે વાત કરશે એ વિચારીને જ ખુબ ભાવુક થઇ ગયો હતો. મારા માટે આ ખુબ જ યાદગાર ક્ષણ છે. હું અગાઉ એક હોટલમાં રૂમ બોય તરીકે કામ કરતો હતો અને અત્યારે હું મારા ખુદના વ્યવસાય થકી ખુબ સારી આવક મેળવી રહ્યો છું તે બદલ હું સરકારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. 

​​​​​​​

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત સરકાર દેશી પ્રજાતિના દૂધાળુ પશુઓને પ્રોત્સાહન આપીને દૂધ ઉત્પાદન વધારવા માગે છે. આ સિવાય આ પશુઓની અંદર જોવા મળતી બીમારીઓ ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરવાનો હેતુ પણ રાષ્ટ્રીય ગોકુલ મિશનના મુખ્ય ઉદ્દેશોમાં સામેલ છે.આ મિશન માટે રાષ્ટ્રીય પશુ પ્રજનન અને ડેરી વિકાસ કાર્યક્રમ (NPBBDD) કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત સ્વદેશી ગાયોના સંરક્ષણ અને પ્રજાતિઓના વિકાસને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોત્સાહિત કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application