જોડીયાના માવના પાટીયા પાસે પખાવાડીયા પુર્વે સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત વૃઘ્ધનું સારવાર દરમ્યાન મૃત્યુ થયુ છે, આ અંગે ફોરવ્હીલ ગાડીના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે. જયારે રાજસ્થળી પાટીયા પાસે શંકાસ્પ્દ હાલતમાં મૃત્યુ પામેલ શીખ યુવાનના બનાવમાં મોટરસાયકલ પરથી સંતુલન ગુમાવી દેતા અકસ્માત સર્જાતા મૃત્યુ નિપજયાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે.
મોરબીના ધુળકોટ ગામના કડીયાકામ કરતા નિકુલ ઉર્ફે જીજ્ઞેશ ઉર્ફે જીગો શિવલાલભાઇ પોરીયા (ઉ.વ.૨૬) નામના યુવાને અર્ટીગા ફોરવ્હીલ ગાડી નં. જીજે૧૨એફઇ-૩૧૦૨ના ચાલક સામે ગઇકાલે જોડીયા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
વિગત મુજબ ફરીયાદીના પિતા શિવાલાલ ગોવિંદભાઇ પોરીયા (ઉ.વ.૬૦) રહે ધુળકોટવાળા ગત તા. ૫ બપોરના સુમારે જીરાગઢ ખાતે મગફળીનો ભુકો ટ્રેકટરમાં ભરાવી લુના નં. જીજે૩એચએન-૬૫૬૧ લઇને અંબાલાથી આમરણ જતા હતા, દરમ્યાન માવના પાટીયા પાસે પહોચતા ભાદરા તરફ જતી ઉપરોકત નંબરની અટીંગા કારના ચાલકે બેફીકરાઇ અને ગફલતથી ચલાવી ફરીયાદીના પિતાના લુનાને હડફેટે લીધુ હતું. જેમાં ફરીયાદીના પિતાને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ કરતા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજાવ્યુ હતું.
અન્ય બનાવમાં કાલાવડના રાજસ્થળી પાટીયા પાસે ગત તા. ૯-૧૧-૨૫ રાત્રીના બારેક વાગ્યા પછીના સમયે ફરીયાદીના નાના ભાઇ કુલદીપસીંગ કરણસીંગ શીખ (ઉ.વ.૨૬) પોતાના હવાલાનું બાઇક નં. જીજે૩એનએ-૨૯૦૮ને પુરઝડપે બેફીકરાઇથી જીવ જોખમાય એ રીતે ઉભા ઉભા ચલાવી રાજકોટથી પોતાના ઘરે જતા હોય ત્યારે રાજસ્થળી પાટીયે પહોચતા બાઇક પરથી સંતુલન ગુમાવી દેતા બાઇક રોડ નીચે ઉતરી જતા પડી જવાથી ગંભીર ઇજા સબબ તેમનું મૃત્યુ થયુ હતું આ અંગે હાલ કાલાવડ મુળ ભાટીયાના તાળા-ચાવીનો ધંધો કરતા ભુપેન્દ્રસીંગ કરણસીંગ શીખ શીખલીગર દ્વારા કાલાવડ ટાઉનમાં જાણ કરવામાં આવી હતી જે ફરીયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.