ગુજરાત સહિત સમગ્ર દેશમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો જોરદાર પ્રહાર થયો છે. એક તરફ ખાદ્યચીજો અને સોના-ચાંદીના ભાવ આસમાને છે, ત્યારે બીજી તરફ ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો ઝીંકી દીધો છે. ગુજરાતના મુખ્ય ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ઇંધણના નવા ભાવ લાગુ થઈ ગયા છે, જેને કારણે પરિવહન ખર્ચ વધવાની અને પરિણામે જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘી થવાની ભીતિ સેવાઈ રહી છે.
તાજેતરના આંકડાઓ મુજબ, ગુજરાતના ચારેય મુખ્ય શહેરોમાં પેટ્રોલમાં સરેરાશ રૂ.2.99 અને ડીઝલમાં રૂ.3.09નો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ.94.44થી વધીને રૂ.97.43 થયો છે, જ્યારે ડીઝલ રૂ.90.11થી વધીને રૂ.93.2 પર પહોંચ્યું છે. આ જ રીતે રાજકોટમાં પેટ્રોલ હવે રૂ.97.27 અને ડીઝલ રૂ.93.06 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે પેટ્રોલનો જૂનો ભાવ રૂ. 94.28 અને ડીઝલનો 89.97 રૂપિયા હતો. સુરતમાં પેટ્રોલનો જૂનો ભાવ 94.51 હતો જ્યારે આજે નવો ભાવ 97.5 રૂપિયા થયો છે. તેમજ ડીઝલનો જૂનો ભાવ 90.2 હતો અને આજ નવો ભાવ 93.29 રૂપિયા થયો છે. વડોદરામાં પણ સ્થિતિ સમાન છે, જ્યાં પેટ્રોલનો જૂનો ભાવ 94.15 હતો અને આજનો નવો ભાવ 97.14 થયો છે. જ્યારે ડીઝલનો જૂનો ભાવ 89.82 હતો અને રૂ. 92.91 થયો છે. આ અચાનક થયેલા વધારાને કારણે મધ્યમ વર્ગના પરિવારોના બજેટ ખોરવાઈ ગયા છે.
રાજકોટ
પેટ્રોલઃ રૂ. 97.27
ડીઝલઃ રૂ. 93.06
અમદાવાદ
પેટ્રોલઃ રૂ.97.43
ડીઝલઃ રૂ.93.2
સુરત
પેટ્રોલઃ રૂ.97.5
ડીઝલઃ રૂ. 93.29
વડોદરા
પેટ્રોલઃ રૂ.97.14
ડીઝલઃ રૂ. 92.91
દૂધ, ગેસ અને સોનાના ભાવમાં પણ 'ભડકો'
માત્ર ઇંધણ જ નહીં, પરંતુ ગૃહિણીઓના રસોડા પર પણ મોંઘવારીનો માર પડ્યો છે. અમૂલ સહિતની ડેરીઓએ દૂધના ભાવમાં વધારો કર્યો છે, તો બીજી તરફ સીએનજી (CNG) અને એલપીજી (LPG) ના ભાવ વધતા રસોઈ બનાવવી અને મુસાફરી કરવી બંને મોંઘા બન્યા છે. આંતરરાષ્ટ્રીય બજારની અસરને કારણે સોના અને ચાંદીના ભાવ પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે, જેનાથી સામાન્ય માણસ માટે રોકાણ કરવું કે ઘરેણાં ખરીદવા હવે સ્વપ્ન સમાન બની રહ્યા છે.
પરિવહન મોંઘું થતા મોંઘવારી વધશે
ડીઝલના ભાવમાં થયેલા ₹3 થી વધુના વધારાની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્ર પર પડશે. ટ્રક અને ટેમ્પોના ભાડા વધતા શાકભાજી, અનાજ અને અન્ય કરિયાણાની ચીજવસ્તુઓના ભાવમાં આગામી દિવસોમાં વધારો નિશ્ચિત માનવામાં આવે છે. વેપારીઓના મતે, જો ઇંધણના ભાવમાં આવી જ રીતે વધારો ચાલુ રહ્યો, તો સામાન્ય જનતા માટે ઘર ચલાવવું અત્યંત મુશ્કેલ બની જશે. હાલ તો જનતા સરકાર પાસે રાહતની આશા રાખી રહી છે.