રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. જામનગર રોડ પર ભારે પ્રતીક્ષા બાદ નવનિર્મિત કરવામાં આવેલો ઓવરબ્રિજ (સાંઢિયા પુલ બ્રિજ) હવે વાહનચાલકો માટે ખુલ્લો મૂકવા માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયો છે. આ નવા બ્રિજના ઉદ્ઘાટન માટે તારીખ ૧૩/૦૬/૨૦૨૬ ને શનિવારના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે એક ભવ્ય લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિત રહેશે.
લોકાર્પણ કાર્યક્રમ માટે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયા અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા (IAS) દ્વારા સંયુક્ત રીતે નિમંત્રક તરીકેની જવાબદારી સંભાળવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા બ્રિજની આસપાસ રોશની અને રંગરોગાન સહિતની આખરી ઓપ આપવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.
જામનગર રોડ પર બનેલો આ નવો સાંઢિયા પુલ બ્રિજ કાર્યરત થવાથી આ વિસ્તારમાં વર્ષોથી સર્જાતી ટ્રાફિક જામની ગંભીર સમસ્યામાંથી સ્થાનિક નાગરિકો અને બહારથી આવતા વાહનચાલકોને કાયમી મુક્તિ મળશે. આ બ્રિજ શરૂ થતાં જ વાહનોની અવરજવર વધુ ઝડપી અને સુરક્ષિત બનશે, જે સમય અને ઇંધણ બંનેની બચત કરશે. રાજકોટના પશ્ચિમ વિસ્તારના વિકાસમાં આ ઓવરબ્રિજ એક નવું સીમાચિહ્ન સાબિત થશે, જેને લઈને સમગ્ર રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.