માવઠાની આગાહી વચ્ચે શહેરમાં દરરોજ તાપમાનનો પારો વધતો જાય છે

  • May 16, 2025 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર શહેર - જિલ્લામાં માવઠાની આગાહી વચ્ચે દરરોજ તાપમાનનો પારો ઉંચે ચઢતો જાય છે. વરસાદે આજે શુક્રવારે બપોર સુધી વિરામ લેતા અને સૂર્યનારાયણ પ્રકાશિત રહેતા લોકોને હાશકારો થયો હતો.માવઠાનું વાતાવરણ વિખેરાતા શહેરના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.શહેરમાં વધતી જતી ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.મહત્તમ તાપમાન વધીને ૩૮.૪ ડિગ્રી નોંધાયુ હતુ. લઘુતમ તાપમાન ઘટીને ૨૭.૪ ડિગ્રી રહયું હતું.ભેજ ૭૪ ટકા, પવનની ઝડપ ૧૨ કિ.મી. રહી હતી. 
દક્ષિણ- પશ્ચિમ રાજસ્થાનમાં ઊભા થયેલા ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભાવનગર સહિત અનેક સ્થળોએ તા.૪થી ૧૮ મે સુધી  ૩૦થી ૪૦ કિ.મી.ની ઝડપે પવનની સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે.આથી ખેડૂતો અને લોકોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જો કે માવઠાથી ખેડૂતોને તેના ઉનાળુ પાક અને કેરીના પાકમાં નુકસાન થયું છે.ખેડૂતો કમોસમી વરસાદ હવે ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહયા છે.
ભાવનગર શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં  મહત્તમ તાપમાન ૧ ડિગ્રી વધતા  ગરમી વધી હતી. આભમાંથી અંગારા વરસ્યા હોય તેવી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. માવઠાનું વાતાવરણ વિખેરાતા ફરી પાંચ દિવસથી તાપમાન વધતા ગરમી વધી છે.
સખ્ત ગરમીના કારણે ઠંડા પીણા, આઈસક્રીમની ખપત વધી છે. ઠંડી છાશ,લસ્સી,લીંબુ સરબત, વરિયાળી સરબત,નારિયેળ પાણી,તરબૂચ, સક્કરટેટી તેમજ અન્ય ઠંડા પીણા અને આઈસક્રીમની ખપત વધી છે.જ્યારે ગરમીથી બચવા ટોપી અને ગોગલ્સની ખરીદી પણ વધી છે.
ભાવનગર શહેરનું  મહત્તમ તાપમાન ૧ ડિગ્રી વધીને ૩૮.૪ ડિગ્રી નોંધાયુ હતુ.આથી બપોરના સમયે ગરમી અનુભવાઈ હતી.જ્યારે લઘુતમ તાપમાન આંશિક  ૦.૩ ડિગ્રી ઘટીને ૨૭.૪ ડિગ્રી નોંધાયુ હતુ.આજે મંગળવારે સવારે ભેજ  ૭૪ ટકા નોંધાયો હતો.જ્યારે પવનની ઝડપ આજે સવારે ૧૨ કિ.મી. રહી હતી.
આ સપ્તાહમાં લઘુતમ તાપમાનમાં વધારો થતા  ગરમીનું પ્રમાણ વધ્યુ હતું.ખાસ કરીને બપોરે ઉનાળા જેવી આકરી ગરમી રહી હતી.રાત્રે પણ હવે તાપમાન વધુ રહેતા ગરમી રહે છે. આ વર્ષે ગત વર્ષ કરતા પણ ઉનાળો વધુ આકરો મિજાજ દર્શાવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે તેમ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હાલ શહેરમાં અતિ ગરમી બાદ વરસાદના  વાતાવરણના કારણે તાવ,શરદી,ઉધરસ,ઝાડા વગેરેના દર્દીઓનું પ્રમાણ વધ્યુ છે.આથી દવાખાનામાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે.લોકોને ખાસ કામ સિવાય ૧૨થી ૫ વાગ્યા સુધી બહાર ન નીકળવા અને લૂ ન લાગે તેનું ધ્યાન રાખવા આરોગ્યતંત્રએ અનુરોધ કર્યો છે.
                  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application