જામનગર: લોન પેટે લીધેલ રકમ પરત ન કરતા વ્યાજ તથા ખર્ચ સહીત પરત ચૂકવી આપવા હુકમ
જામનગર ખાતે મહાદેવ ટર્ન ટેક પ્રા. લી. માં જીથેશ ક્રીટાનાકુટ્ટી નાયર માર્કેટીંગ મેનેજર, રાજકોટ ખાતેની જગ્યા માટે અરજી કરતા જોડાયેલા. નોકરી દરમ્યાન જીથેશભાઈને પોતાનું મકાન લેવાનું હોય તેથી માલિક પાસેથી લોન પેટે રૂ. ૭,૦૦,૦૦૦ મેળવવા વિનંતી કરેલી. જેથી માલિક દ્વારા રૂ. ૩,૫૦,૦૦૦ તથા રૂા. ૩,૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૭,૦૦,૦૦૦ લોન પેટે આપવામાં આવેલ.
ઉપરોક્ત રકમ મળી ગયા બાદ કર્મચારી જીથેશ દ્વારા લોનની રકમની પરત ચુકવણી કરવાની હતી. તેમાં તેના દ્વારા રૂ. ૨૦,૦૦૦ તથા રૂા. ૪૦,૦૦૦ મળી કુલ રૂ. ૬૦,૦૦૦ જમા કરાવવામાં આવેલ અને બાકીની રકમ રૂ. ૬,૪૦,૦૦૦ પરત ચુકવવા ઠાગાદૈયા કરવામાં આવેલ. જે બાદ જીથેશ દ્વારા રકમ ચુકવવા ચેકો આપવામાં આવેલ. જે તમામ ચેક વગર પાસ થયેલ રીટર્ન થયેલ અને રકમ વસુલ આપેલ નહી અને ત્યારબાદ નોકરી છોડી જતા રહેલ.
ત્યારબાદ વાદી કંપની દ્વારા જામનગર ખાતે સીવીલ કોર્ટમાં સમરી દાવો દાખલ કરવામાં આવેલ અને બાકી રકમ રૂ. ૬,૪૦,૦૦૦ વ્યાજ તથા ખર્ચ સહીત વસુલ અપાવવા દાદ માંગવામાં આવેલ. દાવો દાખલ થયા બાદ કોર્ટ દ્વારા કાયદા મુજબ નોટીસ મોકલવામાં આવેલ જે નોટીસ મળી જવા છતાં પ્રતિવાદી કર્મચારી સમરી કાયદા મુજબ ૧૦ દિવસમાં કોર્ટ સમક્ષ જાતે કે વકીલ મારફત હાજર થયેલ નહી. જેથી વાદી તરફે કોર્ટને વાદીની તરફેણમાં સમારી કાયદા મુજબ હુકમ તથા હુકમનામું દોરી આપવાની અરજી આપી દાવો વ્યાજ તથા ખર્ચ સહીત મંજુર કરવાની અરજ કરવામાં આવેલ. જે બાદ સીવીલ કોર્ટ દ્વારા વાદીનો દાવો મંજુર કરી રૂ. ૬,૪૦,૦૦૦ દાવો દાખલ કર્યા તારીખથી વાર્ષિક ૬ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવાનો હુકમ કરેલ તથા વાદીનો ખર્ચ પ્રતિવાદીએ ભોગવવો તેવો પણ હુકમ કરેલ છે.વાદી તરફે વકીલ વસંત ડી. ગોરી, દીપક એચ. નાનાણી તથા નેહલ બી. સંચાણીયા રોકાયેલા હતા.