જામનગર નજીક જીવંત વીજ વાયર તૂટયો, માર્ગ પર કલાકો સુધી ટ્રાફીકજામ
અફરાતફરી અને દોડધામ: સોયલ ટોલનાકા પાસે ધ્રાંગડા પાટીયા નજીક બનેલો બનાવ, સ્થાનિકોની સર્તકતાથી ગંભીર દુઘર્ટના ટળી
વાહનોને રોકી રસ્તો બંધ કરાયો: બનાવ બાદ કલાક સુધી વીજતંત્રના અધિકારીઓ-કર્મચારીઓ ન ફરકતા વાહનચાલકોમાં ભારે રોષ
જામનગરના સોયલ ટોલનાકા પાસે ધ્રાંગડા પાટીયા નજીક ગઇકાલે સાંજે માર્ગ પરથી પસાર થતી પીજીવીસીએલની ૧૧ કેવી લાઇનનો જીવંત વીજવાયર અચાનક તૂટતા અફડાતફડી સાથે દોડધામ મચી ગઇ હતી. આટલું જ નહીં માર્ગની બંને બાજુ વાહનોની કતારો લાગતા ભારે ટ્રાફીકજામના દ્રશ્યો જોવા મળ્યા હતાં.
સ્નાનિકોએ સર્તકતા દાખવી વાહનો રોકી રસ્તો બંધ કરાવતા ગંભીર દુઘર્ટના ટળી હતી. બનાવ બાદ કલાક સુધી વીજતંત્રના અધિકારીઓ કે કર્મચારીઓ ન ફરકતા વાહનચાલકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી.
જામનગર નજીક સોયલ ટોલનાકા પાસે ધ્રાંગડાના પાટિયા નજીક ગઇકાલે સાંજે મોટી દુર્ઘટના સર્જાતા સર્જાતા અટકી હતી. કારણ કે, માર્ગ ઉપરથી પસાર થતી પીજીવીસીએલની ૧૧ કેવી હાઈટેન્શન વીજ લાઈનનો તાર અચાનક તૂટીને ચાલુ ટ્રાફિક વચ્ચે રસ્તા પર પડ્યો હતો. વીજપ્રવાહ ધરાવતો તાર રસ્તા પર પડતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વીજ વાયર રસ્તા પર પડતાં જ સ્થાનિક લોકોએ સમયસૂચકતા દાખવી કોઈ વાહનચાલક કે રાહદારી વાયરનો ભોગ ન બને તે માટે સ્થાનિકોએ બંને તરફથી આવતા વાહનોને રોકી રસ્તો બંધ કરાવી દીધો હતો. જેના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતાં.
આ બનાવ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઘટના બન્યાને એક કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં વીજતંત્રના કોઇ અધિકારી કે કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યો ન હતાં. સતત ટ્રાફીકથી ધમધમતા હાઇવે પર વીજપ્રવાહ ધરાવતો હાઈટેન્શન વાયર ખુલ્લો પડ્યો હોવા છતાં સમારકામની કામગીરીમાં વિલંબ થતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ હતી.જોખમી સ્થિતિ હોવા છતાં વીજ કંપનીના કર્મચારીઓ સમયસર સ્થળ પર ન પહોંચ્યા હોવાના આક્ષેપને પગલે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.