જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની ઘટના: ૪૭ થી વધુ શ્રમિકોને હોસ્પિટલમાં ખસેડાયા
જામનગર નજીક મોટી ખાવડી ગામે આવેલી લેબર કોલોનીમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ રાત્રીના સમયે બનાવવામાં આવેલ ખોરાક આરોગ્યા બાદ મજૂરોને એક પછી એક ઝેરી અસર થવા લાગી હતી, જેના કારણે કોલોનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ ઘટનામાં અંદાજે ૪૭થી વધુ મજૂરો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હોવાનું જાણવા મળે છે. તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં રાત્રી દરમિયાન તબીબોની ટીમને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હાલ તમામ મજૂરોને જરૂરી સારવાર આપવામાં આવી છે, અને તેમની તબિયત પર તબીબો સતત નજર રાખી રહ્યા છે. જે પૈકીના કેટલાક મજૂરોને રજા પણ આપી દેવાઇ છે.
પ્રાથમિક તારણ મુજબ ખોરાકમાં કોઈ પ્રકારની બગાડ કે ઝેરી પદાર્થના કારણે આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાત્રિના સમયે લાઇટ ના હતી ત્યારે આ બનાવ બન્યો હતો . જે મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.