જામનગર: કાલાવડ તાલુકામાં યોજાયેલ ભવ્ય તિરંગા યાત્રામાં સર્જાયો દેશભક્તિનો માહોલ
જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી અને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલ તિરંગા યાત્રામાં અંદાજે ૩૫૦૦ જેટલા લોકો સહભાગી થયા
જામનગર તા.૧૩ ઓગસ્ટ, ભારતની આઝાદીના અમૃત મહોત્સવની ભાવનાને ઉજાગર કરવા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ભવ્ય “તિરંગા યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાના પ્રારંભે કાલાવડના શહીદ વીર હિતેન ઠેશિયાના માતૃશ્રી તેમજ ભારતીય સેનાના નિવૃત્ત જવાનોનું સન્માન કરી તેમના દેશપ્રત્યેના યોગદાનને વંદન કરવામાં આવ્યું હતું.
તિરંગા યાત્રાનો પ્રારંભ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા (મ્યુનિસિપલ હાઈસ્કૂલ પાસે, કાલાવડ) ખાતેથી થયો હતો. યાત્રા લીમડા ચોક, મેઈન બજાર, મુળીલા નાકા, સિનેમા રોડ, જૂની ગ્રેઇન માર્કેટ અને ધોરાજી રોડ માર્ગે પસાર થઈ સરદાર વલ્લભભાઈ પટેલજીની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી. આશરે 2 કિલોમીટર લાંબા રૂટ પર યોજાયેલી યાત્રામાં દેશભક્તિના નારા અને રાષ્ટ્રધ્વજ સાથે નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અંદાજીત 3,500થી વધુ લોકોએ તિરંગા યાત્રામાં ભાગ લઈ રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ પ્રસરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, અગ્રણીઓ ડો.વિનોદભાઈ ભંડેરી, રમેશભાઈ મુંગરા, કાલાવડ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન રાખોલીયા, તાલુકા પંચાયત પ્રમુખ સેજલબેન બથવાર, નગરપાલિકા ઉપપ્રમુખ દયાબેન જાપડા, કારોબારી ચેરમેન અશ્વિનભાઈ ઝીંઝુવાડિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ હરપાલસિંહ જાડેજા, મામલતદાર બી.કે. ચોવટિયા, તાલુકા વિકાસ અધિકારી આર.આર. પટેલ, ચીફ ઓફિસર એન.ડી. વોરા, પદાધિકારીઓ અને અધિકારીઓ, પોલીસ તથા હોમગાર્ડના જવાનો, વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો, કાલાવડની વિવિધ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ-શિક્ષકો તેમજ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.