છતીસગઢ-જામનગર પોલીસનું સંયુકત ઓપરેશન : કુખ્યાત શખ્સ ઝડપાયો
થોડા સમય પહેલા બલૌદા બાઝારમાં ૧૭ કીલો ચાંદી અને સોનાની લુંટ ચલાવી : ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ હિસ્ટ્રીશીટરને પોલીસ લઇ ગઇ
જામનગર સહિત અન્ય રાજયોમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત શખ્સને શહેરના લાલવાડી વિસ્તારમાંથી છતસીગઢ અને જામનગર પોલીસે એક સંયુકત ઓપરેશન કરીને ઝડપી લીધો હતો, આ શખ્સ થોડા સમય પહેલા છતસીગઢના બલૌદા બાઝાર વિસ્તારમાં સોના-ચાંદીની લાખોની લુંટમાં સંડોવાયેલો હોય આથી ત્યાંની પોલીસ અહી સુધી લંબાઇ હતી અને શખ્સને ઉપાડી ગઇ હોવાનું જાણવા મળ્યુ છે.
જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલ શ્રીનાથ પાર્કમાં છેલ્લા કેટલાય સમયથી ભાડાના મકાનમાં રહેતો કૌશલેષ ઉર્ફે કૌશલેન્દ્ર દેવમણી ત્રિપાઠી નામના કુખ્યાત શખ્સને બે દિવસ પુર્વે છતસીગઢની પોલીસ તપાસ અર્થે જામનગર આવી હતી અને સ્થાનીક પોલીસની મદદથી દબોચી લીધો હતો.
છતીસગઢ અને જામનગર એલસીબીની ટીમ દ્વારા સંયુકત ઓપરેશન હાથ ધરીને હિસ્ટ્રીશીટર કૌશલેષને પકડી લીધો હતો અને તપાસ અર્થે લઇ જવામાં આવ્યો છે, એવી વિગત જાણવા મળી છે કે, ઉત્તરપ્રદેશના ડીશમીસ પોલીસ કૌશલેષ જેણે થોડા સમય પહેલા બલૌદા બાઝાર વિસ્તારમાં એક વેપારીને આંતરીને ૧૭ કીલો ચાંદી અને સોનાના દાગીનાની લુંટ ચલવી હતી જેમાં સંડોવાયેલો હોય જે તે વખતે વ્યાપારીને દિન દહાડે આંતરીને બાઇકમાં આવેલા શખ્સો હુમલો કરી લાખોની લુંટ ચલાવી નાશી ગયા હતા. એ પછી સ્થાનીક પોલીસ હરકતમાં આવી હતી, ફરીયાદ અનુસંધાને તપાસનો દોર આગળ ધપાવ્યો હતો, ઘટના સ્થળના સીસી ફુટેજ અને ટેકનીકલ સોર્સીસ અનુસાર તપાસ લંબાવતા જામનગર તરફ પગે આરોપીનું મળતા બે દિવસ છતીસગઢ પોલીસે અહીં ધામા નાખ્યા હતા અને સ્થાનીક પોલીસની મદદથી કુખ્યાત શખ્સને દબોચી લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે કૌશલેષ ત્રિપાઠી વર્ષો પહેલા જામનગરના પીએન માર્ગ પર વેપારીની ઓફીસમાં થયેલા અંધાધુંધ ફાયરીંગ મદદ પ્રકરણમાં સંડોવણી ખુલી હતી, ૨૦૦૮માં જામનગર પોલીસે પકડયો હતો અને એ પછી જેલમાં ધકેલ્યો હતો, આશરે ૬-૭ વર્ષ જેલમાં રહયા બાદ જામીન પર છુટયો હતો અને ભાડાના મકાનમાં થોડા મહિનાઓ પહેલા રહેતો હોવાનુ તેમજ ૩ ડઝનથી વધુ ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું પણ સુત્રોમાથી જાણવા મળ્યુ છે.