જામનગર કોંગ્રેસમાં સસ્પેન્ડની સિકસર, પૂર્વ નગરસેવક સહીત ૬ સભ્યની હકાલપટ્ટી
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ સબબ શિક્ષાત્મક કાર્યવાહી
સભ્ય પદ અને તમામ હોદા પરથી ૬ વર્ષ માટે દૂર કરતા શહેર કોંગી પ્રમુખ દીગુભા જાડેજા
જામનગર કોંગ્રેસના પૂર્વ નગરસેવક સહીત ૬ સભ્યને પક્ષમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ સબબ શહેર કોંગી પ્રમુખે તમામ ૬ સભ્યને સભ્ય પદ અને તમામ હોદા પરથી હકાલપટ્ટી કરી શિક્ષાત્મક કાર્યવાહી કરી છે.
જામનગર કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃતિ સબબ ૬ સભ્યને પ્રાથમિક સભ્યપદ અને પક્ષના તમામ હોદા પરથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર જાગી છે. જામનગર શહેર-જિલ્લા સમિતિ કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજાની યાદીમાં જણાવ્યાનુસાર વર્ષ-૨૦૨૬ની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસના અશોકભાઇ ત્રિવેદી, ઉંમર સોઢા, પૂર્વ નગરસેવક નૂરમામદ ઓમમાણભાઇ પલેજા, ભરત ભાનુશાળી, રાજેશસિંહ કુશવાહા, રામદેવ ઓડેદરાએ પક્ષના અધિકૃત ઉમેદવાર અને સંગઠનના હીતને નુકસાન પહોંચાડે તેવી પક્ષવિરોધી પ્રવૃતિ કરી હોવાનું નોંધાયું છે.
આટલું જ નહીં અન્ય પક્ષના ઉમેદવારના સમર્થનમાં સક્રીય કામગીરી અને સોશીયલ મીડીયા મારફતે કોંગ્રેસની છબીને નુકસાન પહોંચાડે તે પ્રકારે પ્રચાર કરવામાં આવ્યો હોય પક્ષની શિસ્ત અને સંગઠનના હીતમાં ૬ સભ્યને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ અને પક્ષના તમામ હોદા પરથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આટલું જ નહીં ભવિષ્યમાં પણ પક્ષની શિસ્તનો ભંગ કરનાર કોઇપણ વ્યકિત સામે પક્ષના નિયમો અને બંધારણ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. કોંગ્રેસ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર ૬ સભ્યને એકસાથે સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.