તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 19 લોકો માર્યા ગયા હતા અને છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાથી વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
અકસ્માત કેવી રીતે બન્યો?
અહેવાલો અનુસાર, ફેક્ટરીની અંદર અચાનક વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ જોરદાર વિસ્ફોટો થયા હતા જે દૂર દૂર સુધી સંભળાયા હતા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ફેક્ટરીનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો અને આગ ઝડપથી ફેલાઈ ગઈ.
રાહત અને બચાવ કામગીરી ચાલુ
ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર છે.
આજુબાજુના ચાર યુનિટો ઝપેટમાં
આ વિસ્ફોટ કટ્ટનારપટ્ટી વિસ્તારમાં આવેલી એક ક્રેકર યુનિટ( ફટાકડા ફેક્ટરી)માં થયો હતો, જેથી જોત જોતામાં આજુબાજુના ચાર યુનિટોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. દુર્ઘટના બાદ વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે, હાલ રાહત-બચાવ કાર્ય તાત્કાલિક શરૂ કરી દેવામાં છે. ધડાકો એટલો ભીષણ હતો કે આસપાસની ઇમારતોને પણ નુકસાન થયું હતું. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ, પોલીસ અને રાહત ટીમો સતત કાટમાળ હટાવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં લાગેલી છે. પ્રશાસને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી સ્ટાલિને શોક વ્યક્ત કર્યો
આ દુર્ઘટના પર મુખ્યમંત્રી સ્ટાલિને દુખ વ્યક્ત કરતાં કહ્યું કે, આ ઘટના ખૂબ જ દુખદ છે, મને આઘાત પહોંચ્યો છે. તેમનો મૃતકો અને પરિવારજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે સરકાર આ કઠિન સમયમાં તેમની સાથે ઊભી છે. સાથે જ રાહત બચાવ કાર્ય ઝડપી કરવા આદેશ આપ્યો છે.
સુરક્ષાના ધોરણોની અવગણના?
હાલ વિસ્ફોટના કારણો જાણી શકાયા નથી, પરંતુ પ્રાથમિક આશંકા છે કે આ અકસ્માત ફટાકડાના ઉત્પાદન દરમિયાન સુરક્ષાના ધોરણોની અવગણનાને કારણે થયો હોઈ શકે છે. અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપી દીધા છે. સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.