જંગલેશ્વર વિસ્તારમાં આજી નદી પટ્ટા તથા ટીપી રોડ ઉપરના ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવા હાથ ધરાયેલા મેગા ડિમોલિશનના બીજા દિવસે રાજકોટ મહાપાલિકા દ્વારા આજે સવારથી બપોરે બે વાગ્યા સુધીમાં વધુ ૧૦૨ ગેરકાયદેસર મકાનો ઉપર બુલડોઝર ફેરવાયું હતું. કુલ ૧૪૮૯ પૈકી 1351 દબાણો દૂર થઇ ચૂક્યા છે અને બાકી રહેતા મકાનો આજે સાંજ સુધીમાં તોડીને મેગા ડિમોલિશન પૂર્ણ કરાશે તેમ મ્યુનિ.કન્ટ્રોલરૂમના સૂત્રોએ જણાવ્યું હતું.
મ્યુનિ. સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટના જંગલેશ્વરમાં આજી નદીકાંઠા વિસ્તારમાં ૫૫,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ છે તેમાં ૯૯૨ ગેરકાયદેસર મકાન છે અને ૧૫ મીટરના ટીપી રોડ વિસ્તારમાં ૩૨,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ૪૯૭ ગેરકાયદેસર મકાન સહિતના દબાણો છે. આ મુજબ કુલ ૮૭૦૦૦ ચોરસ મીટર જમીનમાંથી ૧૪૮૯ જેટલા ગેરકાયદેસર મકાનો સહિતના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે.
આજે સાંજ સુધીમાં મેગા ડિમોલિશન પૂર્ણ થતા સાથે આવતીકાલથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને આગામી સોમવાર સુધીમાં ૫૦ ફુટના ટીપી રોડની કામગીરીનું ખાતમુહૂર્ત કરવાનું આયોજન છે, મેગા ડિમોલિશન પૂર્ણ થયા બાદ આજી નદી કાંઠે પણ ફેન્સિંગ કરાશે. મેગા ડિમોલિશનના અનુસંધાને કોઠારીયા રોડ ઉપર વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલમાં કાર્યરત મ્યુનિસિપલ કંટ્રોલ રૂમ જ્યાં સુધી કાટમાળ હટાવવાની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી કાર્યરત રાખવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
હવે મોટા અને સ્લેબવાળા મકાનો આવતા સ્પીડ ઘટી
જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન અંતર્ગત હવે મોટા અને સ્લેબવાળા મકાનો તોડવાનું શરૂ કરાતા સ્પીડ ધીમી પડી છે, જો કે ઓરડીઓ તેમજ અન્ય મકાનો તોડીને ફ્રી થયેલી મશીનરીને તે ઝોનમાંથી પાકા મકાનોવાળા ઝોનમાં શિફ્ટ કરી સ્ટ્રેન્થ વધારવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.