જામનગર: લાલપુરના ખેડુતનો ૧૫ તોલાનો સોનાનો હાર વેચી નાખ્યો
બેંક ખાતે હાર છોડાવવા ૪ લાખ મેળવી લીધા અને ધમકી દીધી : સણોસરી ગામના શખ્સ સામે ફરીયાદ
લાલપુર તાલુકાના સણોસરી ગામના એક ખેડૂતને વિશ્વાસમાં લઈ આશરે ૧૫ તોલાનો સોનાનો હાર પોતાના નામે બેંકમાં ગીરવે મૂકી લોન લીધા બાદ હાર વેચી નાખવાનો તેમજ હાર છોડાવવાના બહાને ફરિયાદી પાસેથી વધુ રૂ. ૪ લાખ મેળવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ લાલપુર પોલીસમાં નોંધાઈ છે.
ફરિયાદ મુજબ સણોસરી ગામના ખેડૂત જયસુખભાઈ કરશનભાઈ નંદાણીયાએ વર્ષ ૨૦૨૪માં પોતાના પૂર્વજોના આશરે ૧૫ તોલાના સોનાના હાર (કથલી) આરોપી ભીખુએ પોતાના નામે જામજોધપુર બેંક ખાતે મુકવા લઇ જઇ અને ત્યાર બાદ સબસીડી મળતી હોવાની યોજનાની વાત કરી ફરીયાદીને વિશ્ર્વાસમાં લીધા હતા.
ફરિયાદ મુજબ આરોપીએ હાર છોડાવવાના બહાને તબક્કાવાર ૪ લાખ વધુ લીધા હતા. તેમ છતાં હાર પરત આપ્યો નહોતો. બાદમાં તપાસ કરતાં હાર બેંકમાંથી છોડાવી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ આરોપીએ બારોબાર હાર વેચી નાખ્યો હતો.
ફરિયાદીએ જણાવ્યું છે કે આશરે ૯ લાખ કિંમતનો સોનાનો હાર અને ૪ લાખની રોકડ ગુમાવી છે. વારંવાર માંગણી કરવા છતાં આરોપીએ હાર પરત આપવાને બદલે હાર ભૂલી જજે, નહીં તો જાનથી પતાવી દઈશ તેવી ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં નોંધાયું છે. આ ફરિયાદના આધારે લાલપુર પોલીસે ભીખુભાઈ સવદાસભાઈ વસરા રહે. સણોસરીવાળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.