રાજકોટમાં વર્ષો જૂની અને રોજ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડે તે લાખાજીરાજ બજારમાં પાથરણાવાળાઓના દબાણથી વેપારીઓ કંટાળી ગયા છે. વેપારીઓનું કહેવું છે કે, પાથરણાવાળાઓના દબાણથી તેમનો ધંધો થઈ શકતો નથી. આથી આજે વેપારીઓએ વિરોધ સાથે બપોરના એક વાગ્યા સુધી સ્વયંભૂ બજાર બંધ રાખી હતી. તેમજ 1500 જેટલા વેપારીઓ ધરણા પર બેઠા હતા. બાદમાં મનપા કમિશનરને આ અંગે ઉકેલ લાવવા રજૂઆત કરવા ગયા હતા. તેમજ આનો ઉકેલ નહીં આવે તો માર્કેટ એક અઠવાડિયા સુધી બંધ રાખવાની ચિમકી ઉચ્ચારી હતી.
તંત્રને રજૂઆત કરી છતાં પ્રશ્ન હલ થતો નથી
લાખાજીરાજ રોડ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ મહેશ મહેતાએ જણાવ્યું હતું કે, અહીં લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ અને સાંગણવા ચોક સહિતના વિસ્તારોમાં 1500 જેટલા વેપારીઓ આવેલા છે. જોકે અહીં છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી પાથરાણાવાળાઓના દબાણના કારણે વેપારીઓ વેપાર કરી શકતા નથી. આ બાબતે અગાઉ અનેક વખત મહાનગરપાલિકા અને પોલીસમાં રજૂઆત કરી હોવા છતાં પણ આ પ્રશ્ન દૂર થતો નથી.
રવિવારે તો વેપારીને પોતાની દુકાનમાં અંદર જવું મુશ્કેલ બને છે
તેઓએ વધુમાં જણાવ્યું કે, અહીં કરિયાણાથી લઈને કાપડ, કપડા અને બૂટ સહિતની દુકાનો આવેલી છે. લોકોને ઘર વપરાશની કોઈપણ ચીજવસ્તુઓ જોઈતી હોય તો તે અહીંથી મળી જાય છે. 100 વર્ષ જૂની આ ઐતિહાસિક માર્કેટ છે, જોકે અહીં છેલ્લા ઘણા સમયથી પાથરણાવાળાઓના દબાણના કારણે વેપાર થઈ શકતો નથી. રવિવારે તો એવી પરિસ્થિતિ હોય છે કે વેપારીને પોતાની દુકાનમાં અંદર જવું હોય તો પણ જઈ શકતા નથી. જેથી આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે એવી અમારી માંગણી છે.