જામનગરમાં મુળ શિહોરવાળા એક પરીવારના ૧૦ વર્ષના પુત્ર અને તેના માતા-પિતા આ ત્રણેય સભ્યો આગામી તા.૫ના રોજ દીક્ષા ગ્રહણ કરશે, તા.૪ના રોજ વરસીદાનનો વરઘોડો નિકળશે, આ જ પરીવારના કુલ ૧૦ સભ્યોએ અગાઉ દિક્ષા લીધી હતી તેમ પણ જાણવા મળ્યું છે.
દિ.પ્લોટ વિમલનાથ એપાર્ટમેન્ટમાં રહેતા નંદીશભાઇ ચંદ્રકાંતભાઇ શાહ (ઉ.વ.૫૦) તેમના પત્ની ધારીનીબેન શાહ (ઉ.વ.૪૫) અને પુત્ર તિર્થ શાહ (ઉ.વ.૧૦) આ ત્રણેય કુટુંબીજનો સાથે આચાર્ય દેવ પૂર્ણચંદ્રસાગરની નિશ્રામાં દિક્ષા ગ્રહણ કરશે.
રવિવાર સવારે ગુરૂ ભગવંતનો પાવન પ્રવેશ અને સામૈયુ તેમજ પાર્શ્ર્ચનાથ દેરાસરે ૧૮ અભિષેક થયો હતો, આજે સવારે કુંભ સ્થાપના, દિપક સ્થાપના, જવારા રોહણ અને પાટલા પુજન તેમજ દેશ વિરતી આરાધના સ્વરૂપ સામુહીક પૌષધ વર્ત (દેવ બાગ ઉપાશ્રય)માં કરવામાં આવશે. આવતીકાલ તા.૨ના રોજ સવારે ૯ વાગ્યે શાંતિ સ્નાત્ર મોટા શાંતિનાથ દેરાસરમાં, રાત્રે ૮ વાગ્યે જામનગરના રત્નકુપશી માતા-પિતા સન્માન યોજશે, તા.૩ના રોજ બપોરે ૨:૩૦ વાગ્યે રંગોત્સવ, કેશર છાંટણા, રાત્રે ૮ વાગ્યે સ્વર અને સંગીત સંવેદના સાથે મુુમુક્ષોઓનો વિદાય કાર્યક્રમ યોજાશે.
તા.૪ના રોજ સવારે ૮:૩૦ કલાકે દિક્ષાર્થીઓનો વરસીદાનનો વરઘોડો ચાંદીબજારથી શરૂ થશે અને શહેરના મુખ્ય માર્ગો ઉપરથી ફરીને શેઠ પોપટલાલ ધારશીભાઇ જૈન બોર્ડીંગ ખાતે પુર્ણ થશે તેમજ તા.૫ના રોજ દીક્ષા અંગીકાર, નામકરણ સહિતના કાર્યક્રમો તેમજ નૂતન મુનીરાજ સાથે ગુરૂવરના ગૃહાંગણે પગલા થશે અને આ સમગ્ર સમારંભમાં મોટી સંખ્યામાં જૈન-જૈનેતરો જોડાશે.
શાહ પરીવારના ૧૦ સભ્યોએ અગાઉ દિક્ષા લીધી હતી
જામનગરમાં તા.૫ના રોજ માતા-પિતા અને પુત્ર દિક્ષા લેશે ત્યારે અગાઉ તેમના પરીવારના ગુણશેખરવિજયજી (ભત્રીજા), અમમચંદ્રસાગરજી (ભત્રીજા), અક્ષતચંદ્રસાગરજી (દીકરા), આર્જવચન્દ્રસાગર (વડીલબંધુ), વ્રતનંદીતાશ્રીજી (બહેન), જીનાંગવ્રતા શ્રીજી (માતૃ શ્રી), હેમર્શી પ્રિયા શ્રીજી (ભત્રીજી), વિશ્ર્વવ્રતા શ્રીજી (દીકરી) અને હેમર્ધી પ્રિયા શ્રીજી (ભાભી) સહિતના લોકોએ દિક્ષા અંગીકાર કર્યો હતો. આમ એક જ પરીવારના અગાઉ ૧૦ સભ્યોએ દિક્ષા અંગીકાર કર્યો હતો.