મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તમામ આંગણવાડીના બાળકોનું હેલ્થ પરિક્ષણ કરાતા રોગ ચાળાના ચોકાવનારા આંકડાઓ બહાર આવ્યા છે. જે મુજક કેન્સરના લક્ષણો ધરાવતા ૩૧ બાળકો અને ૧૬૪ હાર્ટ પેશન્ટની વ્યાખ્યામાં આવતા હોવાનો રિપોર્ટ જાહેર કરી જરૂરીયાત વાળા બાળકોને નિયમ મુજબની સારવાર આપવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.
મહાનગરપાલિકા સંચાલીત ૯૦થી વધુ આંગણવાડીઓમાં આવતા હજારો બાળકોના આરોગ્ય માટે તંત્ર સદાય તત્પર રહ્યુ છે.
મનપાના આરોગ્ય વિભાગના અન્ય ઘટકો દ્વારા દરેક આંગણવાડીમાં ભણતા બાળકોનું હેલ્થ ચેકઅપ નિયમીત કરવામાં આવી રહ્યુ છે અને રિપોર્ટના આધારે બાળકોને જરૂરીયાત મુજબની તમામ પ્રકારના સારવાર અપાઇ રહી છે. છતા હાલના ખાદ્ય ખોરાકના કારણે બાળકોમાં ગંભીર રોગના લક્ષણોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક એપ્રિલથી ૨૩ ડિસેમ્બર સુધીના સમયગાળામાં તમામ આંગણવાડીઓના ૨૯૦૦૮૩ બાળકોની હેલ્થ ચકાસણી કરવામાં આવેલ જેનો રિપોર્ટ ગઇકાલે પ્રસિધ્ધ થતાં લિવરની તકલીફ ધરાવતા છ બાળકો તથા કિડનીની તકલીફ વાળા ૪૩ બાળકો અને કેન્સરના લક્ષણો ધરાવતા એટલે કે ભવિષ્યમાં કેન્સર થઇ શકે તેવી શકયતા વાળા ૩૧ બાળકો અને હાર્ટએટેકની શકયતા વાળા ૧૬૪ બાળકો રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગના વધુમાં જણાવ્યા મુજબ મનપાની તમામ આંગણવાડી તેમજ શાળાઓમાં રેગ્યુલર બાળકોનું હેલ્થ ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ગંભીર પ્રકારના રોગ ધરાવતા બાળકો કે, જેઓને તાત્કાલીક સારવારની જરૂરીયાત હોય અથવા થોડા સમયમાં ગંભીર રોગના શિકાર બનવાની શકયતા જણાતી હોય તેવા તમામ બાળકોને આધુનીક સારવાર આપવામાં આવે છે. તેવી જ રીતે અમુક બાળકોને અમદાવાદ તેમજ મુંબઇની આધુનીક સુવિધાઓ ધરાવતી હોસ્પિટલોમાં પણ વિના મુલ્યે સારવાર કરાવવામાં આવે છે. તેવી જ રીતે સામાન્ય રોગચાળામાં આંગણવાડીમાં આવતા બાળકોના વાલીઓને સાવચેત કરી આરોગ્ય લક્ષી સુચનાઓ આપવામાં આવતી હોય છે. છતાં હાલની જીવન શૈલીના કારણે બાળકો વધુમાં વધુ ગંભીર રોગના શિકાર બની રહ્યા છે.