દિલ્હી બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સીઓએ આતંકવાદી ડૉ. મુઝમ્મિલ અને ઉમરની ડાયરીઓ કબજે કરી છે. જેમાં એ પણ ખુલાસો થયો છે કે આતંકવાદી હુમલા માટે 32 કાર તૈયાર કરવામાં આવી હતી. અલ ફલાહ યુનિવર્સિટીની ઇમારત 17નો રૂમ 13 આતંકવાદી ડોકટરોનું ગુપ્ત ઠેકાણું હતું, જ્યાં આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આતંકવાદીઓએ વિસ્ફોટ માટે દારૂગોળો મેળવવા માટે 30 લાખ રૂપિયા એકઠા કર્યા હતા. સુરક્ષા એજન્સીઓએ ફરીદાબાદના ખંડાવલીમાં લાલ ઇકો સ્પોર્ટ્સ કાર શોધી કાઢી છે. એનએસજી કમાન્ડો અને ફોરેન્સિક નિષ્ણાતો તપાસ કરી રહ્યા છે. ડૉ. મુઝમ્મિલ અને ડૉ. શાહીન યુનિવર્સિટી લેબમાંથી રસાયણોની ચોરી કરી હતી, જેનો વિસ્ફોટકોમાં ઉપયોગ થવાનો હતો.
દિલ્હી બ્લાસ્ટ કરનારાઓનો હિસાબ થશે: અમિત શાહે અધિકારીઓ સાથે બેઠક યોજી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ, ગૃહમંત્રી અમિત શાહે તેમના ખાનગી નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં ગુપ્તચર એજન્સીઓ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં આતંકવાદી હુમલાની તપાસની અને દેશભરની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહની આજની ગુજરાતની સુનિશ્ચિત મુલાકાત રદ કરવામાં આવી છે. ભાજપના અધિકારીઓએ જણાવ્યું હતું કે શાહ અમદાવાદ ફૂડ ફેસ્ટિવલ અને અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નું ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ હવે તેઓ હાજરી આપશે નહીં.
હુમલામાં સામેલ બ્રેઝા કારનો ખુલાસો: અલ ફલાહ યુનિવર્સિટીમાંથી મળી
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસ દરમિયાન આતંકવાદી ષડયંત્રની નવી વિગતો બહાર આવી છે. હુમલામાં ત્રણ કાર - એક આઈ-20, એક ઇકો સ્પોર્ટ્સ અને એક બ્રેઝાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બ્રેઝા કાર અલ ફલાહ યુનિવર્સિટીની અંદર ક્યાંક પાર્ક કરવામાં આવી હતી. એજન્સીએ હવે કારની તપાસ શરૂ કરી છે. બ્લાસ્ટ કરનાર ડૉ. ઉમર અને ડૉ. મુઝમ્મિલે પણ આ બ્રેઝા કારનો ઉપયોગ કર્યો હતો. વિસ્ફોટમાં માર્યા ગયેલા આતંકવાદી ડૉ. ઉમર અને આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓનો આ યુનિવર્સિટી સાથે કોઈને કોઈ સંબંધ છે.