જામનગરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં રહેતા એકસઆર્મીમેન વૃઘ્ધને જમીન વેચાશે ત્યારે અને પાર્ટનરશીપમાં કઇંક ધંધો કરશુ એવી વાતોમાં ભોળવીને કટકે કટકે હાથ ઉછીના રૂ. ૩૫ લાખ જેવી રકમ લઇને આરોપીએ પરત નહી આપી તેમજ ઉડાઉ જવાબ દઇને છેતરપીંડી કર્યાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે. આ અંગે ગોકુલધામ સોસાયટીમાં રહેતા ક્ષત્રીય શખ્સ સામે ફરીયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી છે.
જામનગરના રામેશ્ર્વરનગર વિસ્તાર નંદનપાર્ક-૧, બ્લોક ૫૮માં રહેતા એકસ આર્મીમેન અશોકકુમાર કૃષ્ણભાઇ સોલંકી (ઉ.વ.૬૩) નામના વૃઘ્ધને ડીસેમ્બર-૨૦૧૧ થી ૨૦૨૩ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી પ્રવિણસિંહ જાડેજાએ લલચાવી ફોસલાવી પોતાને હાલ રૂપીયાની જરૂરીયાત છે અને પોતાની પાસે જમીન જામજોધપુર તાલુકાના બાલવા ગામ તથા જામનગરના સાંઢીયાપુલ નજીક દરેડ જીઆઇડીસી બાજુમાં આવેલી છે. જે જમીન વેચશે ત્યારે પૈસા આવશે તેમાથી પૈસા પરત અપી દઇશ અથવા તો પાર્ટનરશીપમાં કાંઇ ધંધો કરો અને તમે જે પૈસા આપો તે રોકાણ જ છે તેમ કહીને મૌખીક પાર્ટનર બનાવ્યા હતા.
દરમ્યાન ફરીયાદી અશોકભાઇના બાળકો નાના હોય તેના ભવિષ્યનો વિચાર કરી ફરીયાદીએ આરોપીને મિત્ર તથા પાર્ટનર સમજીને ઘરખર્ચાઓ માટે અને ખેતીના જમીનના કાગળો તૈયાર કરવા ઉપરાંત વકિલની ફીના પૈસા ભરવા માટે તેમજ અન્ય જરૂરીયાત પડતા ફરીયાદીએ આરોપીને દર મહીને રૂ. ૩૦ હજાર એમ ટોટલ ૩૫ લાખ હાથ ઉછીના આપ્યા હતા અને આરોપીએ આ રીતે હાથ ઉધછીના લઇ લીધા હતા.
એ પછી ફરીયાદીને પૈસાની જરૂરીયાત હોવાથી આરોપી પાસેથી આ રૂપીયા પરત માગ્યા હતા જો કે લીધેલી રકમ આરોપીએ પરત નહી કરી તેમજ ધંધો કરવો નથી, પાર્ટનર પણ નથી બનાવવા તેવા ઉડાઉ જવાબ આપવામાં આવતા હતા, આખરે અશોકભાઇ સોલંકી દ્વારા સીટી-બી ડીવીઝનનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોતાની સાથે છેતરપીંડી થયાની વિગતો જણાવી હતી.
જે અનુસંધાને અશોકકુમાર સોલંકી દ્વારા સીટી-બી ડીવીઝનમાં ગઇકાલે જામનગરના ગાંધીનગર રોડ, ગોકુલધામ સોસાયટીમાં રહેતા પ્રવિણસિંહ ભાઇસાબભા જાડેજાની વિરુઘ્ધ આઇપીસી ૪૨૦ મુજબ ફરીયાદ નોંધાવી હતી. જેની તપાસ સીટી-બી પી.પી.ઝાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.પી. સોઢા ચલાવી રહયા છે. પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવા સહિતની તપાસ લંબાવી છે.