ઘણીવાર માતા-પિતાને ધ્યાન ન હોય તેમ પોતાના બાળકો એવી ચીજવસ્તુઓ નાક, મોઢા કે કાનમાં નાખી દેતા હોય છે. જેનાથી આખો પરિવાર ચિંતામાં મૂકાય જાય છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. ચાર વર્ષની બાળકીના નાકમાં રબરનું સ્પોન્જ દોઢ મહિના સુધી રહ્યું હતું. આથી બાળકીને પીડા સાથે સતત શરદી રહેતી હતી. બાળકીના માતા-પિતાએ ઘણી જગ્યાએ સારવાર કરાવી પણ યોગ્ય રિઝલ્ટ મળતું નહીં. અંતે રાજકોટના જાણિતા ઈએનટી ડો. હિમાંશુ ઠક્કરની હોસ્પિટલે આવ્યા હતા. અહીં બાળકીના નાકમાં તપાસ કરતા માલૂમ પડ્યું કે અંદર રબરનું સ્પોન્જ છે જે દૂરબીન વડે બહાર કાઢી માસુમને પીડામાંથી મુક્ત કરી હતી.
દીકરીના ડાબા નાકમાંથી દુર્ગંધવાળું પ્રવાહી સતત નીકળતું હતું
મળતી માહિતી મુજબ, તાજેતરમાં રાજકોટ વિદ્યાનગર રોડ સ્થિત ડો. હિમાંશુ ઠક્કરની હોસ્પિટલ ખાતે એક અનોખો કિસ્સો નોંધાયો હતો. જેમાં ચાર વર્ષની બાળકી જીનલ તરબદાના પિતા રમેશભાઈના જણાવ્યા મુજબ, છેલ્લા દોઢ મહિનાથી તેમની દીકરીના ડાબા નાકમાંથી દુર્ગંધવાળું પ્રવાહી સતત નીકળતું હતું અને શરદી પણ મટતી નહોતી. અનેક દવાઓ કરાવી, રિપોર્ટ્સ કરાવ્યાં, સીટી સ્કેન પણ કરાવ્યું, છતાં સમસ્યા શોધાઈ નહોતી. અંતે રાજકોટ ડો. હિમાંશુ ઠક્કરની ઠક્કર હોસ્પિટલમાં તપાસ કરાવતા દૂરબીનથી જોઇને ખબર પડી કે નાકમાં ખુબ જ ઊંડે રબરનું સ્પોન્જ ફસાયું છે. ડો. ઠક્કરે માત્ર ગણતરીની મિનિટોમાં જ તે સ્પોન્જ કાઢી જીનલને યાતનામુક્ત કરી હતી.
શ્વાસનળીમાં ફસાઈ જાય તો જીવનું જોખમ પણ ઊભું થઈ શકે
ડો. હિમાંશુ ઠક્કરના જણાવ્યા મુજબ, બાળકો રમતા રમતા ઘણીવાર કાન, નાક અને ગળામાં કંઈ ને કંઈ નાંખી દેતા હોય છે અને ઘણી ગંભીર પરિસ્થિતિ ઊભી કરી દતા હોય છે. જો એ રબરનું સ્પોન્જ નાકમાંથી ગાળામાં ઉતરી અને શ્વાસનળીમાં ફસાઈ જાય તો જીવનું જોખમ પણ ઊભું થઈ શકે છે. પરંતુ આવા અનેક કેસોમાં સફળતાપૂર્વક પાર પાડનાર ડો. હિમાંશુ ઠક્કરે ફરી એકવાર કુનેહપૂર્વક નાકમાં દોઢ મહિનાથી ફસાયેલ રબરનું સ્પોન્જ દૂરબીન વડે કાઢી આપી દર્દીને યાતનામુક્ત કરી હતી. નાકમાં એકબાજુથી દુર્ગંધવાળું પ્રવાહી નીકળવું, લોહી આવવું અથવા શરદીની દવાઓ લીધા છતાં શરદી ન મટતી હોય તો આવા સંજોગોમાં નિષ્ણાંત ઈએનટી સર્જનની સલાહ લેવી જોઈએ.