રાજકોટમાં ચાંદીના ભાવમાં આવેલા અચાનક અને તીવ્ર વધારાએ શહેરના વેપાર જગતને હચમચાવી દીધું છે. વિશ્વબજારમાં ચાંદીના ભાવમાં થયેલા ઉછાળાની સીધી અસર સ્થાનિક બજાર પર પડી છે, જેના પરિણામે રાજકોટના કુલ 44 ચાંદીના વેપારીઓને નાદારી જાહેર કરવાની ફરજ પડી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ વેપારીઓ રૂ. 3,500 કરોડ જેટલી બાકી રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા છે, જેના કારણે સમગ્ર ચાંદી વેપાર ક્ષેત્રમાં ગંભીર સંકટ સર્જાયું છે.
ચાંદીના ભાવ સ્થિર રહેશે તેવી ધારણાથી શોર્ટ-સેલિંગ કર્યું હતું
અહેવાલો અનુસાર, આ સંકટની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે મોટાભાગના વેપારીઓએ ચાંદીના ભાવ સ્થિર રહેશે તેવી ધારણાથી શોર્ટ-સેલિંગ કર્યું હતું. 2025 દરમિયાન ચાંદીના બજારમાં સારો દેખાવ રહેતા વેપારીઓને વિશ્વાસ હતો કે ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 1.25 લાખની મર્યાદા વટાવશે નહીં. આ ધારણાના આધારે તેમણે મોટા પાયે વેચાણ ચાલુ રાખ્યું હતું. જોકે, વૈશ્વિક પરિબળો અને વધતી માંગને કારણે ચાંદીના ભાવ અચાનક વધી ગયા અને રૂ. 1.25 લાખ પ્રતિ કિલોગ્રામની સપાટી પાર કરી ગયા.
હાલના બજાર ભાવ વચ્ચેનું અંતર ઝડપથી વધતું ગયું
ભાવમાં આવેલા આ અસામાન્ય ઉછાળાને કારણે વેપારીઓએ જે કિંમતે વેચાણ કર્યું હતું અને હાલના બજાર ભાવ વચ્ચેનું અંતર ઝડપથી વધતું ગયું. પરિણામે, વેપારીઓ પર નાણાકીય બોજ અસહ્ય બન્યો અને અંતે તેમને નાદારી જાહેર કરવાની સ્થિતિમાં મૂકાયા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શનિવારે રાત્રે રાજકોટના ચાંદી વેપારીઓએ એક ઇમરજન્સી બેઠક યોજી હતી, જેમાં 44 વેપારીઓએ જાહેરમાં સ્વીકાર્યું કે તેઓ હવે દેવા ચૂકવવા સક્ષમ નથી. ચાંદીના ભાવમાં આવેલી અસ્થિરતાએ રોકાણકારોને એક તરફ મોટો નફો અપાવ્યો છે, પરંતુ બીજી તરફ પરંપરાગત વેપારીઓ માટે આ સ્થિતિ ઘાતક સાબિત થઈ છે. નિષ્ણાતો માને છે કે આવનારા સમયમાં આવા સંકટોથી બચવા માટે વેપારીઓએ વધુ સાવચેતી અને વ્યાવસાયિક નાણાકીય આયોજન અપનાવવું અનિવાર્ય બનશે.
અમદાવાદમાં આક્રમક ખરીદી: ત્રણ દિવસમાં ગુજરાતમાં આશરે 7 ટન ચાંદીનો વેપાર થયો
ચાંદીના ભાવમાં થયેલા ઉછાળાના કારણે રાજકોટના ડઝનબંધ વેપારીઓને નાદારીની અણી પર ધકેલી દીધા છે ત્યારે બીજી બાજુ અમદાવાદમાં આક્રમક ખરીદી શરૂ થઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનનો અંદાજ છે કે છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતમાં આશરે 7 ટન ચાંદીનો વેપાર થયો છે. કારણ કે ભાવ રેકોર્ડ ઊંચા સ્તરેથી નીચે આવ્યા છે. 27 ડિસેમ્બરે અમદાવાદના બજારમાં ચાંદીનો ભાવ 2.52 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો, પરંતુ સોમવાર સુધીમાં તે 2.33 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો હતો.
કેટલાકે દુકાનો બંધ કરી દીધી કેટલાક વેપારી બજારમાંથી ગાયબ થઇ ગયા
આ સંકટની અસર માત્ર રાજકોટ પૂરતી સીમિત રહી નથી. વેપારીઓનું વેપાર નેટવર્ક અમદાવાદ, ઇન્દોર અને દુબઈ જેવા શહેરોમાં ફેલાયેલું હોવાથી ત્યાં પણ આર્થિક જવાબદારીઓનો હિસાબ લેવામાં આવી રહ્યો છે. કેટલાક વેપારીઓએ આર્થિક દબાણને કારણે પોતાની દુકાનો બંધ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે કેટલાક બજારમાંથી અચાનક ગાયબ થઈ ગયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.