આગામી દિવસોમાં યોજાનારી આસામ કેરલ તમિલનાડુ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતના ચૂંટણી પંચને આ સંદર્ભે એક પરિપત્ર મોકલીને ગુજરાત સરકારમાં ફરજ બજાવતા 35 આઈએએસ અને 10 આઈપીએસ કેડરના અધિકારીઓને આ કામગીરી માટે અનામત રાખવા સૂચના આપી છે.
રાજ્ય ચૂંટણી પંચ અને ગુજરાત સરકારના ચીફ સેક્રેટરીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા અધિકારીઓના નામજોગ લિસ્ટ આપવામાં આવ્યું છે અને આ લીસ્ટ મુજબ સરકારે જે તે અધિકારીને વ્યક્તિગત રીતે નોટીસ આપીને તેમનું રિપોર્ટિંગ કેન્દ્રીય ચૂંટણી પંચમાં કરવા માટે જણાવ્યું છે.
આઈએએસ અને આઇપીએસ જે અધિકારીઓનો આ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં આરતી કવર સંદિપકુમાર રૂપવંતસિંહ સ્વરૂપ પી પ્રવીણ સોલંકી અવંતિકા સિંહ અલખ રાકેશ શંકર રાજેન્દ્રકુમાર રાહુલ ગુપ્તા પી ભારતી આલોક પાંડે જેનુ દેવન સંદિપ કુમાર પ્રભવ જોશી જેવા અધિકારીઓનો સમાવેશ કરાયો છે.
મોટાભાગના આ અધિકારીઓએ કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષની રિપોર્ટિંગની કામગીરી પૂરી કરી દીધી છે અને હવે ચાલુ મહિનાના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસોથી જ ટ્રેનિંગ શરૂ થઈ જશે અને બજેટની કામગીરીમાં પણ તેની અસર જોવા મળશે. જોકે કેન્દ્રીય ચૂંટણી પંચે આસામ કેરલ તમિલનાડુ પશ્ચિમ બંગાળ સહિતના જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની છે તેની હજી તારીખ સહિતની સત્તાવાર જાહેરાત કરી નથી અને તેથી અત્યારે તો આ અધિકારીઓ ટ્રેનિંગ સંબંધીત કામગીરીમાં જ વ્યસ્ત રહેશે.