ભારતમાં ઉધાર લેવાની રીત ઝડપથી બદલાઈ રહી છે. હોમ ક્રેડિટ ઈન્ડિયાના 'હાઉ ઈન્ડિયા બોરોઝ 2025' સર્વે રિપોર્ટ મુજબ, 46 ટકા ભારતીયો હવે સ્માર્ટફોન અને ગેજેટ્સ માટે લોન લે છે, જ્યારે 25 ટકા લોકો વ્યવસાય શરૂ કરવા અથવા વ્યવસાય વધારવા માટે લોન લે છે. પહેલીવાર, ડિજિટલ લોન 51 ટકા હિસ્સા સાથે પરંપરાગત ચેનલોને પાછળ છોડી દીધી છે. ફક્ત 30 ટકા લોકો લોન માટે બેંકમાં જવાનું પસંદ કરે છે. જ્યારે પુરુષો વ્યવસાય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે સ્ત્રીઓ ઘર ખરીદવાને વધુ મહત્વપૂર્ણ માને છે. 35 ટકા જેન-ઝી લોન લઈને વ્યવસાય શરૂ કરવા માંગે છે અને 32 ટકા ઘર ખરીદવા માંગે છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા નિયંત્રિત માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ્સ અને ડન એન્ડ બ્રેડસ્ટ્રીટ દ્વારા ઇન્ડિયા વેલ્થ સર્વે 2025 રિપોર્ટ જણાવે છે કે શ્રીમંતોમાં મર્યાદિત બચત, ભારે દેવું અને નાણાકીય આયોજનનો અભાવ ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. શેરબજારમાં રેકોર્ડબ્રેક વૃદ્ધિ છતાં, ભારતીય એચએનઆઈએસ તેમની મર્યાદિત આર્થિક પ્રગતિથી અસંતુષ્ટ અને હતાશ અનુભવી રહ્યા છે.
દેશભરના મેટ્રો, ટાયર-૧ અને ટાયર-૨ શહેરોમાં ૩૦ વર્ષથી વધુ ઉંમરના ૪૬૫ વ્યક્તિઓ પર આ સર્વે કરવામાં આવ્યો હતો, જેમની વાર્ષિક કરવેરા પછીની આવક રૂ.૨૦ લાખથી વધુ છે. શ્રીમંતોને રૂ. ૫ કરોડથી વધુ રોકાણપાત્ર સંપત્તિ ધરાવતી વ્યક્તિઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
રિપોર્ટ મુજબ, મોટાભાગના શ્રીમંતો પાસે મોટી મહત્વાકાંક્ષાઓ હોય છે. ઉદાહરણ તરીકે, ૭૫ ટકા ધનિકો તેમના બાળકોના શિક્ષણ અને લગ્ન માટે ભંડોળ પૂરું પાડવા માંગે છે, જ્યારે ૪૦ ટકા ઘર ખરીદવા અથવા વ્યવસાય શરૂ કરવાની યોજના ધરાવે છે. ઘણા લોકો વહેલા નિવૃત્તિનું સ્વપ્ન જુએ છે, પરંતુ આમાંથી બહુ ઓછા શ્રીમંત વ્યક્તિઓ પાસે મજબૂત નાણાકીય યોજના હોય છે.
રિયલ એસ્ટેટ સૌથી વધુ પસંદગીનો રોકાણ વિકલ્પ રહે છે. અડધાથી વધુ શ્રીમંતોએ તેમની સંપત્તિના 20 ટકા થી વધુ રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે. ફક્ત ત્રીજા ભાગના લોકોએ શેરબજારમાં આટલું રોકાણ કર્યું છે. 25 ટકા લોકોને વૈશ્વિક રોકાણોનું કોઈ જ્ઞાન નથી.
87 ટકા શ્રીમંતો બાહ્ય નાણાકીય સલાહકારોની મદદ લે છે, અને બે તૃતીયાંશ લોકો તેમનાથી નાખુશ છે. સલાહકારો કમિશન-આધારિત ઉત્પાદનો વેચે છે અને તેમની જરૂરિયાતોના આધારે સલાહ આપતા નથી. 82 ટકા શ્રીમંતો માને છે કે વધુ સારું આયોજન તેમને તેમના નાણાકીય લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે.
43 ટકા શ્રીમંતો કર ચૂકવ્યા પછી તેમની આવકના 20 ટકા પણ બચાવી શકતા નથી
લગભગ 43 ટકા શ્રીમંતો કર ચૂકવ્યા પછી તેમની આવકના 20 ટકા પણ બચત કરી શકતા નથી. ૩૦ થી ૪૫ વર્ષની વયના ધનિકોમાં આ સમસ્યા વધુ ગંભીર છે. દેવાના મોરચે, રિપોર્ટમાં જણાવાયું છે કે ૩૦-૪૫ વર્ષની વયના ૫૦ટકા શ્રીમંતો દેવામાં ડૂબેલા છે, જે તેમને નિવૃત્તિ ભંડોળ એકઠું કરવા, ઘર ખરીદવા અને તેમના બાળકોને શિક્ષણ આપવા જેવા મુખ્ય નાણાકીય લક્ષ્યો પ્રાપ્ત કરવામાં અવરોધે છે.
આવકમાં ઝડપી વૃદ્ધિ છતાં પૂરતી બચત નહિ
ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને તેજીવાળા શેરબજારો છતાં, દેશના ઉચ્ચ નેટવર્થ ધરાવતા વ્યક્તિઓ અથવા અત્યંત ધનિક લોકો મોટી સંખ્યામાં તેમના નાણાકીય લક્ષ્યો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ નાણાકીય લક્ષ્યો બાળકોના શિક્ષણથી લઈને નિવૃત્તિ ભંડોળ સુધીના છે. ચિંતાજનક વાત એ છે કે, આવકમાં ઝડપી વૃદ્ધિ છતાં, મોટાભાગના ધનિક લોકો પૂરતી બચત કરી શકતા નથી, અને તેમાંથી 40 ટકા ભારે દેવા સાથે સંઘર્ષ કરી રહ્યા છે.