જામનગર શહેરમાં લગભગ સાડા સાત લાખની વસ્તી છે, પરંતુ સીટી બસ વ્યવસ્થા અનરેગ્યુલર છે તેમ કહી શકાય, માત્ર ૧૦ જેટલી બસો હાલમાં દોડે છે, મહાપાલીકાના જનરલ બોર્ડમાં આગામી દિવસોમાં પીએમઇ બસ યોજના હેઠળ ૫૦ મીની બસો દોડાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી અને હવે લગભગ માર્ચના અંત સુધીમાં આ બસો શહેરના મુખ્ય માર્ગો ઉપર દોડતી થશે, લોકોને વ્હેલીમાં વ્હેલી તકે સીટી બસ સેવા મળે તે માટે અમો પ્રયત્નશીલ છીએ તેમ મ્યુ.કમિશ્ન ડી.એન.મોદીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
સીટી બસ સેવા જામનગરમાં તો વર્ષો ચાલી છે, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ જણાવ્યું હતું કે, જે કંપનીને પીએમઇ બસ યોજના હેઠળ ટેન્ડર લાગ્યું છે તે કંપનીના અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી છે અને તેમના જણાવ્યા અનુસાર લગભગ માર્ચ મહીનામાં ૫૦ ઇ-મીની બસ જામનગરમાં આવી જશે. હાલમાં જામનગર ઉપરાંત ધુંવાવ, ખીમરાણા, સમાણા, દરેડ, દડીયા, ગોકુલનગર, બેડી, ગાંધીનગર સહિતના અનેક વિસ્તારોમાં સીટી બસ સેવા ચાલું છે, ખાસ કરીને ઇએસ પોર્ટ હાપા ખાતે બની રહ્યું છે જેમાં એકીસાથે ૧૨ બસોનું ચાર્જીંગ થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેની સાથે પીજીવીસીએલની ૨૫૦૦ કે.વી. એમ્પીયર ક્ષમતાનું વિજ કનેકશન પણ લેવાશે, ઉપરાંત બસને વોશીંગ કરવા માટે યાર્ડ બનાવાશે.
જામનગરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે માસીક ૫૦ કે.વી. વિજળી પેદા કરે તેવા સોલાર રૂફટોપ પણ નખાશે જેમાં ચાર્જીંગ સ્ટેશન, ફાયર સ્ટેશનમાં અગ્નિશમન સાધનો પણ ગોઠવવામાં આવશે, ઉપરાંત હાપા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં એક લાખ ચો.ફુટ જગ્યામાં રૂ.૧૩.૦૫ કરોડના ખર્ચે આધુનિક સુવિધાવાળુ ઇ-બસ પોર્ટની કામગીરી ચાલી રહી છે જે અંતિમ તબકકામાં છે.
જાણવા મળતી માહિતી મુજબ બસના સંચાલન માટે કેન્દ્ર સરકારની પોલીસી અનુસરવામાં આવશે, જેમાં મ્યુ.કમિશ્નર, ફાયર ઓફીસર, જિલ્લા પોલીસ વડા, જાડાના ચેરમેન, આર.ટી.ઓ.ના અધિકારી, ડે.કમિશ્નર, સીટી ઇજનેર સહિતના લોકો હોદાની રૂએ આ કમીટીમાં લેવામાં આવ્યા છે, ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી જામનગર શહેરમાં ઇ-સીટી બસ સેવા શરૂ થાય તે માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસરવામાં આવી છે અને તેનું ચૂસ્તપણે પાલન કરાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાપામાં યાર્ડની કામગીરી અંતિમ તબકકામાં છે, સીટી બસનું જેને ટેન્ડર મળ્યું છે તેમના અધિકારીના જણાવ્યા મુજબ લગભગ માર્ચ મહીનામાં જ જામનગર કોર્પોરેશનને ૫૦ ઇ-બસ સેવા આપી દેવામાં આવશે. A