રાજકોટમાં મચ્છરના બેફામ ઉપદ્રવની ૭૮૭ ફરિયાદો મળતા ફરિયાદ સ્થળે જઇને ફોગિંગ કરાયું હતું તેમજ ૧૧૮ સંકુલોમાં ચેકિંગ કર્યું હતું જેમાંથી ૭૯ સ્થળે મચ્છર મળતા નોટિસ ફટકારવામાં આવી હતી. જો કે હજુ પણ નાગરિકોએ મચ્છરના ઉપદ્રવની ફરિયાદ નોંધાવવા અને ફોગિંગ માટે મ્યુનિસિપલ સ્ટાફને ભાઇ સાહેબ બાપા કરવા અથવા તો કોર્પોરેટર કે અન્ય રાજકીય હોદેદારોની ભલામણ કરાવવી ફરજિયાત છે.
દરમિયાન તાજેતરમાં મહાપાલિકાની આરોગ્ય શાખાએ જાહેર કરેલા વિકલી એપેડેમિક રિપોર્ટ અંતર્ગત જાહેર કરેલી માહિતી મુજબ છેલ્લા એક સપ્તાહમાં જ મચ્છરના ઉપદ્રવની ૭૮૭ ફરિયાદો મળી હતી અને તમામના ઘરે જઇને ફોગિંગ કરવામાં આવ્યું હતું.મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૧૧૮ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી. જેમાં તપાસના અંતે મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૬૦ અને કોર્મશીયલ ૧૯ સહિત કુલ ૭૯ને નોટીસ ફટકારવામાં આવી હતી.
મનપા કચેરીમાં પણ મચ્છરનો ઉપદ્રવ
રાજકોટ મહાપાલિકાની મુખ્ય કચેરીમાં પણ મચ્છરનો બેફામ ઉપદ્રવ હોય કમિશનર બ્રાન્ચથી લઈને મેર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ચેમ્બર સુધી લગભગ દરેક ચેમ્બરમાં ઓલ આઉટ અને ગુડ નાઇટ જેવા મચ્છર નાશકો મુકાયા છે.