અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાને હવાઈ હુમલો કર્યો હતો અને સ્થાનિક મેચમાં જીતની ઉજવણી કરી રહેલા 3 આશાસ્પદ ક્રિકેટર્સ સહીત 8 ખેલાડી માર્યા ગયા હતા. પાકના બોમ્બમારાના પગલે આખી ઇમારત ધ્વસ્ત બનીને કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. બચાવ કાર્ય ચાલી રહ્યું છે તો બીજી તરફ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડએ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની આગામી ત્રિકોણીય ટી૨૦ શ્રેણીમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના નિવેદનમાં ત્રણ ખેલાડીઓ કબીર, સિબગતુલ્લાહ અને હારૂનના મૃત્યુની પુષ્ટિ કરી છે અને સાત ઘાયલ થયા હોવાના અહેવાલ આપ્યા છે. જોકે, અફઘાન મીડિયા અનુસાર, પાકિસ્તાની હુમલામાં કુલ આઠ અફઘાન સ્થાનિક અને ક્લબ ખેલાડીઓ માર્યા ગયા હતા. અહેવાલો અનુસાર, આ આઠ ખેલાડીઓ શરાણા વિસ્તારમાં મેચ રમ્યા બાદ તેમની જીતની ઉજવણી કરવા માટે અર્ઘુન વિસ્તારમાં આવ્યા હતા ત્યારે પાકિસ્તાની સેનાએ રહેણાંક વિસ્તાર પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલાના પગલે એક બાળકનું પણ મોત થયાનું સામે આવ્યું છે.
છેલ્લા 10 દિવસમાં, પાકિસ્તાની સેનાએ ટીટીપી ઠેકાણાઓ પર હુમલો કરવાના નામે અફઘાનિસ્તાનમાં અનેક રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના ડેટા અનુસાર, ફક્ત પક્તિકા, કુનાર, ખોસ્ત, કંદહાર અને હેમલેન્ડમાં પાકિસ્તાની હુમલાઓમાં 37 નાગરિકો માર્યા ગયા છે અને 425 ઘાયલ થયા છે. અફઘાન તાલિબાન સરકારના ડેટા અનુસાર, કાબુલમાં પાકિસ્તાની હુમલામાં પાંચ લોકો માર્યા ગયા હતા, અને પક્તિકામાં ત્રણ સ્થળોએ થયેલા હુમલામાં 10 લોકો માર્યા ગયા હતા. આનો અર્થ એ થયો કે માત્ર 10 દિવસમાં, પાકિસ્તાની સેનાએ 52 નિર્દોષ અફઘાનોને મારી નાખ્યા છે અને 425 થી વધુ લોકોને ઘાયલ કર્યા છે.
ટીટીપીના ઠેકાણાઓ પર ધોંસ બોલાવાઈ હોવાનો પાકનો દાવો ખોટો
પાકિસ્તાની સેના સતત દાવો કરે છે કે તે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના ઠેકાણાઓ અને તેના નેતા નૂર વલી મહેસુદને નિશાન બનાવવા માટે અફઘાનિસ્તાનમાં હુમલા કરી રહી છે. જોકે, ગયા ગુરુવારે પ્રકાશિત થયેલા એક ફોટામાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે ટીટીપી નેતા નૂર વલી મહેસુદ અફઘાનિસ્તાનમાં નહીં પરંતુ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના તિરાહ ખીણમાં છે.