અમદાવાદ પ્લેન ક્રેશના સ્થળ પર કાટમાળમાંથી 80 તોલા સોનાના દાગીના મળ્યા, 15 લાખની ઇન્ડિયન અને ફોરેન કરન્સી મળી, જાણો સમગ્ર વિગત

  • June 17, 2025 05:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદના મેઘાણીનગરમાં 12 જૂને પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી. જેમાં 270થી વધુ લોકો બળીને ખાખ થઈ ગયા હતા. સ્થળ પર કાટમાળમાંથી 80 તોલા સોનાના દાગીના મળ્યા છે. જ્યારે 15 લાખની ભારતીય અને ફોરેન કરન્સી મળી આવી છે. 


પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું એ સમયે 700 ડિગ્રી ટેમ્પરેચર હતું. એમાં બેઠેલા વિશ્વાસ કુમાર સિવાય તમામ લોકો બળીને ખાક થઈ ગયા. આ બધાની સાથે કેટલીક એવી વસ્તુઓ મળી છે, જે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની હોવાની માનવામાં આવે છે. એમાં પાસપોર્ટ, મોબાઈલ ફોન, કેટલાકના મૃતદેહ પર રહેલા દાગીના, કેટલાકના સામાનમાંથી કપડાં અને ભગવદ્ ગીતા મળી આવી છે.


દુર્ઘટના સમયે એક ફોનની રિંગ વાગતી હતી

આ અંગે ઘટનાસ્થળે પહોંચેલા ભાજપ કાર્યકર રાજેશ પટેલે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે અંધકારમય માહોલ હતો. કાટમાળમાંથી મળેલો એક મોબાઈલ પણ વાગતો હતો. લેપટોપ પણ છે. આ સિવાય 80 તોલા જ્વેલરી, 80 હજાર રોકડા, 4 બ્રિટિશ પાસપોર્ટ, બીજા ચાર-પાંચ પાસપોર્ટ મળેલાં છે. આ વસ્તુઓ સરકાર અધિકારીઓને જમા કરાવી દીધી છે. અમે ચારથી પાંચ થેલા જેટલો સામાન સોંપેલો છે.


સામાન પરત કરવામાં આવી રહ્યો છે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ એક્સ પર પોસ્ટ કરી છે કે વીણાબેન અઘેડાની ડેડબોડીમાંથી 4-5 તોલા સોનું મળ્યું છે. જે કોઈ કીમતી સામાન છે એ તમામ પરત કરવામાં આવી રહ્યો છે.


15 લાખની ઇન્ડિયન અને ફોરેન કરન્સી મળી

પ્લેન ક્રેશની સાઇટ પરથી અત્યારસુધીમાં અડધા બળી ગયેલા પાસપોર્ટ, 15 લાખ કિંમતની ભારતીય તથા વિદેશી કરન્સી, 80 લાખના દાગીના, ઘડિયાળ મળી લાખોનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. જોકે આશ્ચર્ય પમાડે એવી બાબત એ છે કે જે આગમાં માણસોને બચવાનો સમય ન મળ્યો ત્યાં ઘણા પેસેન્જરના ડોક્યુમેન્ટ, કેટલાકનાં પર્સની સામગ્રી હેમખેમ મળ્યાં છે, આથી પણ વધુ ચોંકાવનારી બાબત એ છે કે જે હોસ્ટેલના ધાબે વિમાનની ટેઇલમાં ફસાયેલો હતો તેમાંથી એક એર હોસ્ટેસ અને બે બાળકના બળેલા મૃતદેહ મળ્યા હતા, પરંતુ ત્યાં રખાયેલી સામગ્રી બળી ન હતી. એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘અંદરથી જે રીતે વસ્તુઓ મળી રહી છે એ આશ્ચર્યથી ઓછી નથી. માનવી આખા ભડથું થઈ ગયા એવી આગમાં કપડાં, દસ્તાવેજો, એર હોસ્ટેસનાં પર્સ અને તેમના મેકઅપ કિટને કોઈ નુકસાન થયું ન હતું.​​​​​​​


કેટલા દાગીના છે એની ગણતરી બાકી: ડીસીપી-કાનન દેસાઈ

તાજેતરમાં પોલીસ દ્વારા કેટલાક લોકોને તેમનાં સ્વજનોનો સામાન પરત કરવામાં આવ્યો છે, જેમાં સોનાના દાગીના પણ છે. આ તેમના સ્વજનની અંતિમ નિશાની માનીને સ્વજનનોની આંખમાંથી આંસુ અટકતાં નથી. આ સમગ્ર તપાસ બાબતે ઝોન-4 ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે ક્રેશ સાઈટ પરથી અલગ અલગ વસ્તુઓ મળી આવી છે, જેમને અલગ કરવામાં આવી રહી છે. હાલ કેટલાક દાગીના છે, પણ એની ગણતરી કરવાની બાકી છે.


કાટમાળ વચ્ચે બાળગોપાલ એટલે કૃષ્ણ ભગવાનની મૂર્તિ સહી સલામત મળી 

કાટમાળ વચ્ચે બાળગોપાલ એટલે કૃષ્ણ ભગવાનની મૂર્તિ સહી સલામત મળી આવી છે. આ ઘટનાને ભગવાનનો ચમત્કાર કહો કે પછી વિધિની વક્રતા! આ બાળગોપાલ મૂર્તિને અમદાવાદના પ્રેગ્નન્ટ જિનલબેન પટેલ પોતાના ખોળામાં રાખીને બેઠાં હતાં. જિનલબેન અને તેમના પતિ વૈભવનાં આ ઘટનામાં હચમચાવી દેતાં મોત થયાં હતાં. કપલ સીમંત વિધિ માટે જ લંડનથી અમદાવાદ આવ્યું હતું. સીમંત વખતે પણ બાળગોપાલને હાથમાં લઈને તેમણે વિધિ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News