ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. આ અંગે રાજ્ય સરકારે પાક નુકસાનીનો સર્વે કર્યો છે. ગઈકાલે મુખ્યમંત્રી પોતે જૂનાગઢ અને ગીર સોમનાથમાં પાક નુકસાનીની સમીક્ષા કરવા ગયા હતા. આજે બપોરે મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં કૃષિ મંત્રી, નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા. આ બેઠક ત્રણ કલાક ચાલી હતી. ખેડૂતો માટે આજે સાંજ સુધીમાં રાહત પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે. ખેડૂતો માટે અત્યારસુધીમાં મોટી સહાય જાહેર થા. તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.
આવતીકાલે જાહેર રજા હોવાથી કેબિનેટની બેઠક મળશે નહીં. ખેડૂતોને 12 હજારથી 15 હજાર જેટલી અથવા તેથી વધુ સહાય મળે તેવી સંભાવના છે. રાજ્યના 18 હજાર ગામડામાંથી 4થી 5 હજાર ગામડામાં નુકસાન નથી, પરંતુ ત્યાં પણ સર્વે કરવામાં આવશે. ધારાધોરણો મુજબ તમામને સહાય મળે તે રીતે કામગીરી ગોઠવવામાં આવશે. સહાય સીધી ખેડૂતના ખાતામાં જમાં થશે.
રાજ્યમાં વીતેલા 10 દિવસમાં પડેલા કમોસમી ભારેથી અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. પાક તૈયાર થવાની તૈયારીમાં હતો ત્યારે જ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું અને ખેડૂતોની સ્થિતી ખરાબ થઈ ગઈ હતી. ખેતી પર નિર્ભર રહેલા ખેડૂતો માટે પાક નિષ્ફળ જતા ખરાબ હાલત થઈ ગઈ છે. ખેડૂતોએ સર્વે કર્યા વગર જ ખેડૂતોને સીધી સહાય કરવામાં આવે તેવી માગ પણ સરકાર સમક્ષ કરી હતી.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં રાજ્ય સરકાર પણ હરકતમાં આવી હતી અને ખુદ મુખ્યમંત્રીએ પણ જાતે ખેતરમાં જઈને ખેડૂતો સાથે વાતચીત કરીને નુકશાની સંદર્ભે તાગ મેળવ્યો હતો. રાજ્યના મંત્રીઓ પણ વિવિધ જિલ્લામાં જઇને ખેડૂતોને મળીને નુકશાન અંગેની ચર્ચા કરી હતી.