કાર્ડીયાક એરેસ્ટના દુ:ખદ બનાવોમાં સતત વધારો થઇ રહયો છે, કોરોના કાળ બાદ હૃદયસ્પર્શી બિમારીઓમાં સ્ફોટક રીતે વધારો થઇ રહયો છે, કાલાવડ તાલુકાના સણોસરા ગામના માત્ર ૪૪ વર્ષના યુવાનનું હાર્ટએટેકથી દુ:ખદ નિધન થયું છે અને વધુ એક વખત નાની વયે હૃદય બંધ પડી જવાનો બનાવ સામે આવ્યો છે.
કોવિડ-૧૯ની મહામારી પછી અને ખાસ કરીને વેકસીનેશનના તબકકા બાદ હૃદયરોગના હુમલાનું પ્રમાણ વઘ્યું છે તેમા પણ નાની વયે કાર્ડીયાક એરેસ્ટના કિસ્સા સતતને સતત વધી રહયા છે, આ બાબતે અગાઉ ઘણા સંશોધનો કરાઇ ચુકયા છે અને હજુ સુધી એવા સ્પષ્ટ નિષ્કર્ષ પર પહોંચી શકાયુ નથી કે આખરે યુવાનોમાં હૃદયરોગનું પ્રમાણ શું કામ વધી રહયુ છે અને શું કામ જીવલેણ સાબિત થઇ રહયું છે.
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં વધુ એક યુવા અવસ્થામાં હૃદય રોગનો હુમલો આવી જવાના કારણે એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા જેન્તીભાઈ ચનાભાઈ રાઠોડ નામના ૪૪ વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો, અને બે શુદ્ધ બન્યા હતા.
જેઓને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેમને હાર્ટ એટેક આવી ગયો હોવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર સાવનભાઈ જેન્તીભાઈ રાઠોડ એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે, અને ત્યારબાદ કાલાવડની સરકારી હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.