બગસરાના નવી હળીયાદ ગામે દોઢ વર્ષથી માવતરના ઘરે રહેતી ઇશાબેન (ઉ.વ.23)ની પરિણીતાએ રાજકોટમાં ફોર્ચ્યુન હોટેલ પાછળ આંબેડકરનગરમાં રહેતા પતિજયેન્દ્ર કરશનભાઈ વાઘેલા, સાસુ ભાનુબેન, સસરા, કરશનભાઈ, જેઠ જીજ્ઞેશભાઈ, જેઠાણી જિજ્ઞાસાબેન તેમજ જૂનાગઢમાં રહેતા નણંદ ઉષાબેન અને નણદોયા પિયુષભાઇ ચાવડા સામે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2021માં અમદાવાદ અભ્યાસ કરતી હતી ત્યારે રાજકોટમાં રહેતા જયેન્દ્ર સાથે પરિચય થયો હતો અને મિત્રતા બંધાઈ હતી. તા.16-3-23ના અમે ઉપલેટાના નાગવદર ગામે લગ્ન કરી લીધા હતા. બાદમાં સંયુક્ત પરિવાર સાથે સાસરિયામાં રહેતી હતી. લગ્નના થોડો સમય સુધી સાસરિયાએ સારી રીતે રાખ્યા બાદ એપ્રિલ 2023માં હું અને પતિ જયેન્દ્ર અમદાવાદ રહેવા માટે ગયા હતા ત્યાં સાસુ, સસરા, જેઠ, જેઠાણી, નણંદ, નણદોયા આટો મારવા માટે આવ્યા હતા ત્યારે પતિ સાથે મળી મને કરિયાવર બાબતે અને ખોટી શંકાઓ કરી મેણાં ટોણા મારી ઝગડાઓ કરતા હતા. પતિ અવાર નવાર મારમારતા અને તું તારા માવતરના ઘરે જતી રહે, તું ગમતી નથી કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાસુ-સસરા નણંદ અવાર નવાર રોકાવા આવતા ત્યારે મારી ઉપર ખોટી શંકાઓ કરી તારે કોઈ સાથે વાત કરવાની નથી. તારા ઘરેથી કેમ સોનાના દાગીના લાવી નથી કહી માનસિક ત્રાસ આપી પતિને ચડામણી કરતા હોવાથી પતિ મને મારકૂટ કરતા હતા. મારા લગ્ન થયા બાદ ડોક્યુમેન્ટ પણ પતિએ લઇ લીધા હતા. આ બધાના દુઃખ ત્રાસથી કંટાળી પહેરેલા કપડે 15-8-24ના ઘરેથી નીકળી ગઈ હતી અને મને મારા પિતા તેડી ગયા હતા.
થોડા દિવસ પહેલા જ પતિએ મારા પિતાને ફોન કરી મને ઉપાડી જવાની ધમકી આપી ગાળો ભાંડી હતી. અંતે સાસરિયાની બીકથી પતિ સહિતના સામે ફરિયાદ નોંધાવી છે. બગસરા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે રાજકોટ સ્થિત પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને જૂનાગઢ રહેતા નણંદ, નણદોયા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.