મૂળ દેવભૂમિ દ્વારકા પંથકની હાલ જામનગરમાં કોલેજમાં રહી અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી સગીરા સાથે અજુગતી ઘટના બની હતી. સગીરાને તેના કૌટુંબિક બનેવીએ રાજકોટ મળવા બોલાવી બાદમાં હોટેલમાં લઈ જઈ ત્યાં કોલ્ડ્રીકસમાં કેફી પ્રવાહી પીવડાવ્યું જેથી તેણીને નિંદર આવી ગઇ હતી. બીજા દિવસે સવારે શખસે તેણી પર પાણી છાંટી ઉઠાડયા બાદ જામનગરની બસમાં બેસાડી દીધી હતી.
સગીરાને કોલેજમાં રજા હોવાથી તે પોતાના ઘરે ગયા બાદ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જયાં બનાવ અંગે પિતાએ પૂછતા તેણીએ લખીને જાણ કરતા બનાવ સામે આવ્યો હતો. બાદમાં આ અંગે સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
આ અઘટીત બનાવ અંગે ૧૭ વર્ષીય સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત.તા.૨૬/૧૨/૨૫ના દીકરીને કોલેજમાં રજા હોવાથી તેને ઘરે આવવું છે મને તેડવા આવો તેવું તેણીએ પિતાને કહ્યું હોય જેથી તેના પિતા જામનગરથી તેડીને ઘરે આવ્યા હતા.બીજા દિવસે તેઓ વાડીએ હતા ત્યારે પત્નીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતુ કે, દીકરીએ એસિડ પી લીધું છે. જેથી તાકિદે ઘરે જઈ તેણીને પ્રથમ સારવાર અર્થે ભાણવડ બાદ વધુ સારવાર અર્થે જામનગર ખસેડી હતી. શા માટે એસિડ પી લીધું હોવાનું પુત્રીને પૂછતા તેણીએ કાગળમાં લખીને જણાવ્યું હતું કે, બે માસ પૂર્વે ભાઈની સગાઈમાં ભેગા થયેલ ત્યારે કૌટુંબિક બેહેનની જેની સાથે સગાઈ થયેલ તે બનેવી પણ ત્યાં હાજર હતો.અને પ્રસંગ પૂર્ણ થતા જ તે મારી સાથે ફોન અને મેસેજમાં વાત કરતો હતો.
દરમિયાન ગઇ તા. ૨૫ના તેણી હોસ્ટેલમાં હતી ત્યારે શખસે ફોન કરી કહ્યું કે, તું રાજકોટ મને મળવા આવ જો નહીં આવે તો હું તારી બહેનને હેરાન કરીશ જેથી તેણી રાજકોટ ગયેલ બાદ બંન્ને એસ.ટી. બસ સ્ટેન્ડની પાસે આવેલી ક્રિષ્ના હોટલમાં ગયા હતા. ત્યારે શખસે તેણીને કોલ્ડ્રીકસમાં કોઈ પ્રવાહી ભેળવી પીવડાવ્યું હતું.જેથી તેણીને માથુ દુ:ખતું હોવાથી નિંદર આવી ગયેલ અને બીજા દિવસે શખસે તેણી પર પાણી છાંટી જગાડયા બાદ ફરી જામનગરની બસમાં બેસાડી જતા જતા કહ્યું કે, તું મને મળવા આવતી રહેજે અને કોઈને જાણ કરતી નહીં બાકી તારી બહેનને હેરાન કરીશ તેવી ધમકી આપી હતી. આમ આ શખસે સગીરા સાથે કંઇક અજુગતુ કર્યું હોય જેથી ડરી જઇ તેણીએ આ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સગીરા સ્વસ્થ થયા બાદ ખરેખર તેની સાથે શું બન્યું તે હકીકત જાણી શકાશે બાદમાં પોલીસ આગળની કાર્યવાહી કરશે.