રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૮માં ગૌરવપથ કાલાવડ રોડ ઉપર આવેલી રામધામ સોસાયટીમાં રખડું ડાઘિયા કૂતરાઓનો અસહ્ય ત્રાસ છે, રહીશોના જણાવ્યા મુજબ તાજેતરમાં સોસાયટીમાં એક રખડું કુતરુ હડકાયું થતા તે અનેકને કરડ્યું હતું. આ અંગે મહાપાલિકામાં ફરિયાદ નોંધાવ્યા પછી પણ ૨૪ કલાક સુધી કોઇ ફરક્યું ન હતું.
વિશેષમાં કાલાવડ રોડની રામધામ સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે, ગઇકાલે સવારથી બપોર સુધી અનેક વખત પ્રયત્નો કર્યા બાદ મ્યુનિસિપલ કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૫૫૩૦૪ અને આરએમસી ઓન વોટ્સ એપ નં.૯૫૧૨૩ ૦૧૯૭૩ ઉપર ફરિયાદ નોંધાઈ હતી પરંતુ ફરિયાદ નોંધાયા પછી પણ ૨૪ કલાક સુધી કામગીરી માટે કોઈ આવ્યું ન હતું, અલબત ૨૪ કલાક પછી કૂતરા અંગે શું સમસ્યા છે તે જાણવા માટે ફરિયાદીને ફોન આવ્યો હતો ! ટીમ આવી ન હતી.
રામધામ સોસાયટીમાં અનેકને કરડનાર શ્વાન હડકાયું થયું હોવાનું રહીશોનું અનુમાન છે ત્યારે મહાપાલિકા તંત્ર વ્હેલી તકે આ રખડું શ્વાનને જપ્ત કરીને રહીશોને ભયમુક્ત કરે તેવી પ્રબળ લોકમાંગણી સોસાયટીના રહીશોમાંથી ઉઠવા પામી છે.