રાજકોટમાં વધુ એક હત્યાની ઘટનાથી હાહાકાર મચી ગયો છે. મોડીરાતે ભીલવાસ ઠક્કરબાપા વિસ્તારના 18 વર્ષના ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણાની તીક્ષ્ણ હથિયારના પેટના ભાગે ઘા મારી હત્યા કરાઈ હતી. મૃતક ધાર્મિક રોડની સાઈડમાં સૂતેલા લોકોને હેરાન કરતો હોવાથી બોલાચાલી બાદ મયુર લઢેર નામના શખસે ધાર્મિકને પેટ અને છાતીના ભાગે છરીના ઘા મારી પતાવી દીધો હતો.
ઘટનાની જાણ થતાં ડીસીપી, એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. પહેલા ઘંટેશ્વર પાસે અકસ્માત નડ્યાનું કહી લાવનાર ભાણેજે કહ્યું, તપાસમાં છાતીમાં છરીનો ઘા દેખાયો.
પતિએ પત્નીની હત્યાની શાહી સૂકાઈ નથી ત્યાં વધુ એક હત્યા
ઉલ્લેખનીય છે કે, રવિવારે શહેરના દૂધસાગર રોડ પર આકાશદીપ સોસાયટીમાં બહેનપણીના ઘરે રિસામણે ગયેલી નિલેશ્વરી યોગેશભાઈ માવલા (ઉં.વ. 28) નામની પરિણીતાને પતિ યોગેશ બાબુભાઈ માવલા(બોરીચા) (રહે. ભગવતીપરા મેઇન રોડ, ધરમનગર)એ છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. પરિણીતાએ ચાર વર્ષ પુર્વે યોગેશ સાથે યોગેશ સાથે પ્રેમલગ્ન કર્યા બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા. અંતે પરિણીતા બહેનપણીના ઘરે રીસામણે ચાલી જતા પતિએ ઉશ્કેરાઇ હુમલો કર્યો હતો. હત્યાના આ બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
રવિવારે બપોરના સમયે દૂધસાગર રોડ પરની આકાશદીપ સોસાયટી શેરી નં.૮ ગુજરાત હાઉસિંગ બોર્ડ ત્રણ માળિયા કવાર્ટરમાં બહેનપણીના ઘરે આવેલી નિલેશ્વરી (ઉ.વ.28) નામની પરિણીતા પર પતિ યોગેશ બાબુભાઈ માવલા (બોરીચા) એ હુમલો કરી તેને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. પત્ની પર ખુની હુમલો કર્યા બાદ યોગેશ અહીંથી નાસી ગયો હતો ગંભીર રીતે ઘવાયેલી પરિણીતાને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા અહીં ટૂંકી સારવાર બાદ પરિણીતાનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવના પગલે થોરાળા પોલીસમાં મથકના સ્ટાફે બનાવસ્થળે અને હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.