શહેરના રૈયાધાર વિસ્તારમાં ડ્રીમ સિટી સામે ભાવેશ વાણવી (ઉ.વ.32) નામના યુવાનની હત્યામાં એલસીબી ઝોન-૨ ની ટીમે અટલ સરોવર પાસેથી ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. જેમની પૂછતાછમાં હત્યા પ્રકરણમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. હત્યા માત્ર રસના ચિચોડા બાબતેના મનદુ:ખમાં નહીં પરંતુ એક ફૂલ દો માલી જેવા કિસ્સાના લીધે થઈ હોવાનું સામે આવી રહ્યું છે. ભાવેશને કૃપાલી નામની યુવતી સાથે સંબંધ હોય જેને આરોપી હમીર જોગરાણા સાથે વાતચીતનો વ્યવહાર શરૂ થતા તે બાબતની જાણ ભાવેશને થયા બાદ ડખો શરૂ થયો હતો અને અંતે વાત છેક હત્યા સુધી પહોંચી હતી.
રવિવારે રાત્રિના ભાવેશ વાણવીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેને લઇ ગઈકાલે સિવિલ હોસ્પિટલે ભારે તંગ માહોલ રહ્યો હતો. દરમિયાન પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઈની સૂચના હેઠળ એલસીબીના પીએસઆઇ આર.એચ. ઝાલા તથા તેમની ટીમે તપાસ હાથ ધરી આ હત્યા પ્રકરણમાં ત્રણ આરોપીઓ રવિ મેરામભાઇ જોગરાણા (ઉ.વ.33), સાગર મેરામભાઇ જોગરાણા (ઉ.વ.26) અને ગોપાલ મેરામભાઇ જોગરાણા (ઉ.વ.22 રહે. બધા રૈયાધાર, રાધેશ્યામ ગૌશાળાની સામે, શેરી નંબર 2, મફતિયાપરા)ને ઝડપી લીધા હતા.
હત્યાના આ બનાવ અંગે તપાસ ચલાવી રહેલા એસીપી ચિંતન પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, હત્યા પ્રકરણમાં પ્રશ્ન માત્ર રસના ચીચોડા બાબતે થયેલી અરજી કારણભૂત નથી. આરોપીઓની પૂછતાછ દરમિયાન સામે આવ્યું છે કે, મૃતક ભાવેશને કૃપાલી નામની યુવતી સાથે સંબંધ હોય દરમિયાન આ કૃપાલીને ઇન્સ્ટાગ્રામમાં આરોપી હમીર જોગરાણા સાથે પરિચય થયો હતો અને બંને વાતચીત કરતા હતા. જે બાબતની જાણ ભાવેશને થયા બાદ ભાવેશ અને હમીર જોગરાણા વચ્ચે ઝઘડો થયો હતો.
થોડા સમય પૂર્વે હમીર જોગરાણાએ ભાવેશ અને કૃપાલી વિરુદ્ધ હનીટ્રેપની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી તો સામાપક્ષે હમીર જોગરાણા વિરુદ્ધ છેડતીની અરજી કરવામાં આવી હતી. બાદમાં બંને પક્ષે સમાધાન થઈ ગયું હતું પરંતુ ત્યારથી જ દુશ્મનીના બીજ રોપાયા હતા. દરમિયાન યુવતી બાબતે થયેલા ડખા બાદ રસના ચીચોડા બાબતે થયેલી માથાકૂટને લઇ આરોપીઓએ ભાવેશ વાણવી પર હથિયારો વડે જીવણ હુમલો કરી તેની હત્યા નિપજાવી હતી.
એસીપી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ હત્યા પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર હમીર જોગરાણા છે તે ઉપરાંત હત્યા પ્રકરણમાં વધુ કેટલાક નામ ખુલ્યા છે. જેમાં દેવકરણ, વિક્રમ અને ભુરાનો સમાવેશ થાય છે. સૂત્રધાર સહિતના આરોપીઓને ઝડપી લેવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
આરોપીને ઝડપી લેવાની આ કામગીરીમાં એલસીબી ઝોન-૨ ના પીએસઆઇ આર.એચ.ઝાલા,એએઅસાઇ હરપાલસિંહ જાડેજા, હેડ કોન્સ. હેમેન્દ્રભાઇ વાઘીયા, ધર્મરાજસિંહ ઝાલા,કોન્સ. શિવભદ્રસિંહ ગોહિલ, કુલદીપસિંહ રાણા સાથે રહ્યા હતાં.