રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે આજે વહેલી સવારે ગમખ્વાર કાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેતલસર જંકશન રેલવે પુલ પર બનેલા આ ગંભીર અકસ્માતમાં એક યુવક અને એક યુવતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે બે અન્ય યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં એકનું મોત થયાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના બે ભાગ થઈ ગયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ચારેય યુવક-યુવતી જૂનાગઢ ખાતે યોજાયેલા મહાશિવરાત્રી મેળામાંથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમની કાર જેતપુરના જેતલસર જંકશન રેલવે પુલ પર ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત બની બે ટુકડામાં વહેંચાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં મુસ્કાન બગડા અને અરુણ વાળા નામના યુવક-યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અમિત પરમાર અને જયદીપ ચૌહાણ નામના બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં જયદીપ ચૌહાણનું મોત નીપજ્યું હતું. જ્યારે અમિત પરમારની સારવાર ચાલી રહી છે.
અકસ્માતને કારણે થોડાક સમય માટે રસ્તા પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક અનુમાન મુજબ કારનો વેગ વધુ હોવાના કારણે ડ્રાઈવરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોઈ શકે છે. જોકે, અકસ્માતના ચોક્કસ કારણ અંગે પોલીસ દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગમખ્વાર ઘટનાએ પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.